લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા સેંજળ ધામમાં યોજાયેલ કાર્યકર સજ્જતા શિબિરમાં ‘લોકભારતીત્વ’ ગુણ સંબંધે મોરારિબાપુએ તેમનાં પ્રવચનમાં એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે તેમ જણાવ્યું.
ઉચ્ચ શિક્ષણમાં સંશોધનાત્મક વલણોની કેળવણી વિષય પર બે દિવસીય કાર્યકર સજ્જતા શિબિરનું સેંજળ ધામમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા આયોજન થયું છે.
મોરારિબાપુએ આ શિબિરમાં પોતાનાં પ્રવચનમાં ‘લોકભારતીત્વ’ ગુણ સંબંધે સંસ્થાનાં પૂર્વસૂરીઓ નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી તથા નટવરલાલ બુચનું સ્મરણ કરી અહીંયા મમતા સાથે સમતા રહેલ હોવાનું જણાવી વચનાત્મક કરતાં રચનાત્મક કામ વધુ થતું હોવાનું જણાવ્યું. અરુણભાઈ દવે અને કાર્યકર્તાઓ દ્વારા સમાજમાં સૂતેલાંઓને જગાડવાનું કામ થઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કર્યો.
મોરારિબાપુએ એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે તેમ જણાવ્યું. આ સાથે તેઓએ પુરુષાર્થનાં વિવિધ રૂપો વર્ણવી યથાયોગ્ય પુરુષાર્થ માટે મંડયાં રહેવાં કાર્યકર્તાઓને ભાર મૂક્યો અને ઉમેર્યું કે બધાં લાભ એ શુભ નથી હોતાં પણ બધાં શુભ એ લાભકારક જ હોય છે.
પ્રારંભે લોકભારતીનાં વડા અરુણભાઈ દવેએ મોરારિબાપુ દ્વારા સંસ્થા પ્રત્યેનાં સદ્ભાવ અંગે અહોભાવ વ્યક્ત કરી આ શિબિરનો હેતુ જણાવ્યો. લોકભારતી દ્વારા ભાવાત્મક સુધારણા વડે ગુણવત્તા સુધારણા ઉપર ભાર મૂકી લોકભારતીત્વ સમજવાં કરતાં પામવાની વાત કરી અને ‘માણસ’ બનાવવાની વાત ઉમેરી.
કાર્યકર્તા પૂજાબેન પુરોહિતનાં સંચાલન સાથે પ્રારંભે ભૌતિકભાઈ લીંબાણી દ્વારા ભજન ગાન પ્રસ્તુત થયું. અહીંયા વિશાલભાઈ ભાદાણી પ્રાસંગિક ઉદ્બોધન કરેલ.
લોકભારતી પરિવારની આ શિબિરમાં રામચંદ્રભાઈ પંચોળી, રાજેન્દ્રભાઈ ખિમાણી, હસમુખભાઈ દેવમુરારિ, કાંતિભાઈ ગોઠી સહિત કાર્યકર્તાઓ અને અન્ય વક્તા મહાનુભાવોની ઉપસ્થિતિ રહી છે.