પ્રધાનમંત્રી જન ઔષધી યોજના અંતર્ગત પાટણ જિલ્લાના નાગરિકોને હવે વધુ એક સ્થળે સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ થશે. આજરોજ પાટણના પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભવન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના હસ્તે ત્રીજા જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
લોકાર્પણ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, રેડક્રોસ ચેરમેન ડો. અરવિંદભાઈ કે. પટેલ, સેક્રેટરી ડો. મોનિષ સી. શાહ સહિત રેડક્રોસના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે કેન્દ્ર ખાતે ઉપલબ્ધ દવાઓનું નિરીક્ષણ કરી, વિવિધ વિભાગોની મુલાકાત લઈને વિગતો મેળવી. તેમણે રેડક્રોસ સોસાયટીની જનકલ્યાણકારી સેવાઓની પ્રશંસા કરી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ૭૫ જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે, જેમાં પાટણ જિલ્લામાં સિદ્ધપુર અને ધારપુર બાદ આજે ત્રીજું કેન્દ્ર કાર્યરત બનાવાયું છે. તેમણે વધુમાં કહ્યું કે આ કેન્દ્રોનો લાભ જરૂરિયાતમંદ દર્દીઓને સસ્તી દવાઓ રૂપે સીધો આર્થિક લાભ આપે છે અને વધુ લોકોને તેની જાણ થાય એ માટે પ્રચારની પણ જરૂર છે.