અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવાનો છે, ત્યારે ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રાનું આયોજન થયું છે, જે રથયાત્રાના પૂર્વ તબક્કા તરીકે જાણીતી છે. જળયાત્રા ભગવાન જગન્નાથજીની ૧૨ યાત્રાઓમાં મુખ્ય યાત્રા ગણાય છે. જગન્નાથ મંદિરથી શરૂ થનારી આ યાત્રા ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાથી ભરી હોય છે. મંદિરથી નિકળી જળયાત્રા સાબરમતી નદીના તટે આવેલ સોમનાથ ભૂદરના આરે પહોંચશે.
આ ધાર્મિક વિધિમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિતિ આપશે. યાત્રા સ્થળે પહોંચ્યા બાદ ગંગાપૂજન કરવામાં આવશે અને પરંપરાગત રીતે ૧૦૮ કળશમાં પવિત્ર જળ ભરી લેવામાં આવશે. આ જળનો ઉપયોગ ભગવાન જગન્નાથજીના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જળાભિષેક માટે કરવામાં આવશે.
જળાભિષેક બાદ ભગવાન ભવ્ય નાથગજ વેશ ધારણ કરી ભક્તોને દર્શન આપશે. ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે અને સાથે અનેક ભજન મંડળીઓ પણ ભક્તિભાવથી યાત્રામાં જોડાશે. વિશેષ બાબત એ છે કે સુંદર રીતે સુશોભિત કરાયેલા ગજરાજો પણ આ જળયાત્રામાં જોડાશે, જે સમગ્ર યાત્રાને વૈભવી અને ભક્તિમય બનાવશે.