૧૨ જૂન, પ્લેન ક્રેશની કરુણાંતિકામા ખેડા જિલ્લાના ૧૭ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં, આજે ૧૭, જૂનના રોજ જિલ્લામાં કુલ ૦૭ પ્રવાસીઓના પાર્થિવ દેહને પરીવારને સોંપવામાં આવ્યા અને અંતિમવિધિ કરવામાં આવી. જેમાં, વસોના રામોલ ગામના સ્વ. શ્રી રજનીકાંતભાઈ ચીમનભાઈ દરજી અને સ્વ. શ્રી પુષ્પાબેન રજનીકાંતભાઈ દરજી, નડિયાદના સરસ્વતીનગરના સ્વ. શ્રી મહાદેવભાઈ તુકારામભાઈ પવાર અને સ્વ. શ્રી આશાબેન મહાદેવભાઈ પવાર તથા મહુધાના સીંઘાલી ગામના સ્વ. શ્રી પ્રવીણકુમાર ચીમનભાઇ પટેલ અને સ્વ શ્રી રંજનબેન પ્રવીણકુમાર પટેલ એમ કુલ ૦૩ દંપતિ અને મહેમાદાબાદ તાલુકાના વણસોલીના સ્વ.શ્રી રુદ્ર ચિરાગભાઇ પટેલ એમ કુલ સાત પાર્થિવદેહને મોટી જનમેદનીની ઉપસ્થિતિમાં અંતિમવિદાય આપવામાં આવી હતી.
જેમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલેકટર અમિત પ્રકાશ યાદવ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા અને જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે સરસ્વતીનગર, નડિયાદ ખાતે પવાર દંપતીને શ્રદ્ધાંજલી આપી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. એવી જ રીતે મહુધાના સીંઘાલી ખાતે ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ પટેલ દંપતિને તથા મહેમદાવાદના વણસોલી ખાતે અર્જુનસિંહ ચૌહાણે સ્વ. શ્રી રુદ્ર પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ઉપરોક્ત તમામ સ્થળોએ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ ઉપસ્થિત રહીને મૃતકોના પરિવારને તમામ સહકાર આપ્યો હતો.
નોંધનીય છે કે ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૨ પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપી અંતિમવિધિ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. બાકીના મૃતકોની ઓળખ પ્રક્રિયાની કામગીરી હાલમાં કાર્યરત છે, અને આ પાર્થિવ દેહોને જિલ્લામાં સત્વરે લાવવામાં આવશે.