ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીના કિનારે ૬૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ ભીડભંજન મહાદેવજીનું આ મંદિર પાંડવકાળ સમયનું છે. ભીડમાં આવેલા ભક્તો મહાદેવના ચરણે આવી શીશ નમાવી પ્રાર્થના કરે એટલે મહાદેવ તેની ભીડ દુર કરે છે અને એટલે જ ભીડભંજન મહાદેવ તરીકે આ મંદિર પ્રચલિત છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ૯ હજારની વસ્તી ધરાવતા લાખણકા ગામે પવિત્ર ઘેલો નદીના કિનારે ૬૦૦ વર્ષ કરતાં વધારે પૌરાણિક ભીડભંજન મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવના મંદિરે ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. ભાવિકો વહેલી સવારે મહાદેવને બિલીપત્ર, ફૂલ અને દૂધનો અભિષેક કરીને પોતાના ધંધા રોજગાર પર જાય છે.
ગઢડાના લાખણકા ગામે ભીડભંજન મહાદેવ બિરાજમાન
ઘેલો નદી કિનારે 600 વર્ષ જૂનું મહાદેવજીનું મંદિર
પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરે મહાદેવજીની પૂજા અર્ચના કરતા પૂજારીના વડવાઓ મહાદેવજીની પૂજા અર્ચના કરતા આવ્યા છે અને તે પરંપરા હાલમાં યથાવત છે. ભીડભંજન મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે લાખણકા ગામના તમામ સમાજના લોકોએ સ્વયં યોગ્ય દાન ભેટ આપીને ભવ્ય મંદિર બનાવવા સહયોગ કર્યો છે. મહાદેવજીના મંદિરે દરરોજ ત્રણ વાર આરતી અને અભિષેક કરવામાં આવે છે. દર વર્ષે ભવ્ય પાટોત્સવની ઉજવણીમાં લાખણકા ગામના તમામ સમાજના લોકો અને આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. ઘેલો નદીના કાંઠે કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા ભીડભંજન મહાદેવના મંદિરે લાખણકા અને આસપાસના ગામના શિવભક્તો નિત્ય સવારે મંદિરે આવી મહાદેવને બીલીપત્ર, ફૂલો અને દૂધનો અભિષેક કરી આરતીના દર્શનનો લાભ લઈ પોતાના ધંધા રોજગાર પર જાય છે. મંદિરે શિવરાત્રીના દિવસે ભજન ધૂન કરી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તો શ્રાવણ માસ દરમ્યાન ભગવાન ભોળાનાથને અલગ અલગ શૃંગાર કરાય છે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવપૂરાણ કથાનું આયોજન, સવારથી સાંજ વિશેષ આરતી અને 108 દિપમાલા કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોનો સવારથી મેળાવડો થાય છે અને ભવ્ય લોકમેળો જામે છે.
રાજા રજવાડાના સમયમાં અહિં પૂજન અર્ચન કરવામાં આવતા
600થી વધુ વર્ષો જુના ઐતિહાસિક ભીડભંજન મહાદેવના મંદિરે અનેક લોકોને મહાદેવજીનો સાક્ષાત્કાર થયો છે. જે ભાવિક સાચી શ્રદ્ધાથી ભોળાનાથને શીશ ઝુકાવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે તેમની પ્રાર્થના સાંભળી ભોળાનાથ તમામ મનોકામના પૂર્ણ કરે છે. ઘણા નિસંતાન લોકોના ઘરે ભોળાનાથના આશીર્વાદથી પારણા બંધાયા છે. ભીડભંજન મહાદેવ મંદિરમાં બે શિવલિંગ આવેલા છે. એક સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ છે અને મહાદેવજીના આશીર્વાદથી મનોકામના પૂર્ણ થયેલા ભાવિકે મુખ્ય શિવલિંગની બીજા શિવલિંગની સ્થાપના કરેલી છે. ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન અનેક ધાર્મિક કાર્યક્રમોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. દાદાને વિશેષ શણગાર, મહાઆરતી, ભજન, ધૂન અને ગામની બહેનો અખંડ ધૂન કરી મંદિરના વાતાવરણને ભક્તિમય બનાવે છે પવિત્ર ઘેલો નદીના કાંઠે આવેલું પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિર લાખણકા ગામ અને આસપાસના વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર છે. ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન મહાઆરતી, 108 દિવડાઓ ની દિપમાલા, શિવ મહાપુરાણ, મહા પ્રસાદ સહિતનાં વિવિધ ધાર્મિકઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.અહિ મંદિરમાં બે શિવલીગ આવેલા છે. ત્યારે ભીડભંજન મહાદેવ મંદિર હજ્જારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે.