ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.એટલે કેડીસીસી બેંકના ૭૭ વર્ષના ઇતિહાસમાં છેલ્લા ત્રણેક વર્ષમાં જ બિઝનેસમાં ૬૨.૫૨ ટકાનો વધારો થયો છે, જેનો તમામ શ્રેય કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલ અને નિયામક મંડળના સભ્યોની દીર્ધદ્રષ્ટિ અને ડિજિટલાઇઝેશનને ફાળે જાય છે. જેના પગલે બેંકના ઇતિહાસમાં પ્રથમ વખત ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવવાનું કેડીસીસી બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભામાં જાહેર કરવામાં આવ્યું હતું.
વાર્ષિક અહેવાલ રજૂ કરતાં કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલે જણાવ્યું કે વર્ષ ૨૦૨૨માં કેડીસીસી બેંકનો બિઝનેસ રૂ.૨૭૦૦ કરોડ હતો તે વધીને વર્ષ ૨૦૨૫માં રૂ.૪૪૦૦ કરોડ પર પહોંચી ગયો છે. આગામી વર્ષમાં સરકારની યોજનાઓ અને બેંકની વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને બેંકનો બિઝનેસ રૂ.૧૨૦૦૦ કરોડ પર પહોંચાડવાનો લક્ષ્યાંક છે. બેંક દ્વારા સૌપ્રથમ નામમાં કૈરાના બદલે ખેડા કરવાનો સુધારો કરીને ઐતહાસિક પગલું ભરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર યોજના હેઠળ ૧૨૦૦ ગામમાં ગામદીઠ ૨૦ યુવાનોને આર્થિક ઉપાર્જન માટે જરૂરી નાણાંકીય સવલત લોનરૂપે પૂરી પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ સોલાર ઇન્સ્ટોલેશન માટે ૧૦ ટકા માર્જીન રાખીને ૯૦ ટકા સુધીની લોન આપવામાં આવે છે. ડિજિટલાઇઝેશનમાં ઐતહાસિક કદમ ઉઠાવતાં વોટ્સએપ બેંકિંગ અને કસ્ટમર સર્વિસ સેન્ટર શરૂ કરનાર કેડીસીસી બેંક ગુજરાતની પ્રથમ જિલ્લા સહકારી બેંક હોય અન્ય માટે પ્રેરણારૂપ બની રહી છે. આ ઉપરાંત લોન મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવાની પણ પહેલ કરી છે જેના હેઠળ ગ્રાહકને ત્વરિત લોન મંજૂરી મળી જાય છે. ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની પહેલ કરીને ગ્રાહકના ડોક્યુમેન્ટ, લોનના ડોક્યુમેન્ટ તથા જરૂરી તમામ ડોક્યુમેન્ટ સોફ્ટકોપી લાંબા સમય સુધી સાચવી શકાય અને જરૂર પડે એક ક્લીકથી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
બેંકને છેલ્લા ઘણા વર્ષથી નવી શાખા શરૂ કરવાની મંજૂરી મળતી નહોતી, પરંતુ વર્ષ ૨૦૨૨માં ચૂંટાયેલા નવા નિયામક મંડળના પ્રયાસોથી ૬ નવી શાખા ખોલવાની મંજૂરી મળી છે. કેડીસીસી બેંકના કાર્યોની સુવાસ વિદેશ સુધી પહોંચી છે, યુએસએના પેન્સિલવેનિયા સ્ટેટના પ્રતિનિધિ મંડળ અને યુગાન્ડાના એગ્રીકલ્ચર, એનીમલ હસબન્ડરી અને ફિશરીશના મિનિસ્ટરે બેંકની મુલાકાત લઇને બેંકના કાર્યોની સરાહના કરી હતી. આગામી દિવસોમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને માઇક્રો એટીએમ માટે સ્થળ ઉપર જ રોકડ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. તેમજ નેટ બેકીંગ માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સભાના અંતે કેડીસીસી બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા સર્વેનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
બેંકના ચેરમેન તેજસકુમાર બી.પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ બી પરમાર તથા બેંકના ડિરેક્ટર ભદ્રેશભાઈ શાહ કેસરીસિંહ સોલંકી, બાબરસિંહ ચૌહાણ, છત્રસિંહ વાઘેલા, ભરતભાઈ આર પટેલ, દિલીપભાઈ પટેલ, સંદીપસિંહ ચુડાસમા, મધુબેન પટેલ, નિલેશકુમાર પટેલ, ભરતભાઈ એસ પટેલ, રણજીતસિંહ વાઘેલા મહેન્દ્રસિંહ પરમાર, ભેમસિંહ રાઉલજી, જીતેન્દ્ર પટેલ, અંકિતભાઈ આર પટેલ (CA), નિખિલભાઇ પટેલ તથા મનોજભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં સભાસદો તથા ગ્રાહકો તથા સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.