પ્રવાસીઓના હસ્તે વિવિધ પ્રવાસન સ્થળોએ વૃક્ષારોપણ કરીને જનજાગૃત્તિ ફેલાવવા પ્રયાસ, યાદગીરી માટે પ્રવાસીઓને ઘરે લઇ જવા છોડ આપવામાં આવશે.
પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઇન્ટ મુકાયા.
વિતેલા ૨ વર્ષમાં ૧૦ લાખના લક્ષ્યાંક સામે ૧૦,૨૨,૦૦૦નું વૃક્ષારોપણ.૯૫% કરતા વધુની સફળતા.
“એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ૫ લાખ રોપાનું વાવેતરનું લક્ષ્યાંક.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળની સાથે સાથે પર્યાવરણ જાળવણી માટે એક આદર્શ કેન્દ્ર બન્યુ છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેનશ્રી મુકેશ પુરી, મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરાના માર્ગદર્શનમાં નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસે સમગ્ર આયોજનને ઓપ આપ્યો છે.
વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને પોતાની માતા માટેના પ્રેમ, આદર અને સન્માનના પ્રતિકરૂપે એક વૃક્ષ વાવવા અને ધરતી માતાનું ગ્રીન કવર વધારવા કરેલા આહવાનના ભાગરૂપે એકતા નગરના વિવિધ પ્રવાસન સ્થળો આરોગ્ય વન, વેલી ઓફ ફ્લાવર અને એકતા નર્સરી ખાતે પ્રવાસીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવશે. આ ઉપરાંત યાદગીરી માટે પ્રવાસીઓને ઘરે લઇ જવા છોડ આપવામાં આવશે. પ્રવાસીઓમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપતા સેલ્ફી પોઇન્ટ પણ મુકવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પર્યાવરણ જાળવણી માટેના ઉચ્ચ પ્રયાસોને કારણે અભ્યાસ માટેનું આદર્શ કેન્દ્ર બન્યુ છે. “ગ્રિનિંગ એકતા નગર” અને “એક પેડ માં કે નામ” અંતર્ગત વિતેલા ૨ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી હસ્તકના વન વિભાગ દ્વારા ૧૦ લાખ રોપા સામે ૧૦,૨૨,૦૦૦ રોપાનું વાવેતર કરીને ૧૦૦ ટકા કરતા વધુનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. તેમાં પણ ૯૫ ટકા કરતા વધુની સફળતા મળી છે.
એકતા નગરની ઓળખ બની ગયેલા કેશુડા અને કૃષ્ણકમલના કુલના ૨ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યુ છે. એક્તા નગર ખાતે કેશુડાનું સમૃદ્ધ વન છે, જેમાં કેશુડા ટુરનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે. જેના કારણે પ્રવાસીઓ કુદરત સાથે જોડાઇ રહ્યા છે. કૃષ્ણકમલ ફુલ અંગે ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ પોતાના “મન કી બાત” કાર્યક્રમમાં પણ ઉલ્લેખ કર્યો હતો.
“ગ્રિનિંગ એકતા નગર” અને “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૫-૨૬માં બીજા પાંચ લાખ રોપાનું વાવેતર કરવાનું આયોજન નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસ દ્વારા કરવામાં આવ્યુ છે.