કપડવંજના ડો. મૃગાંક પટેલે સાવરકુંડલા સ્થિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં ૮ વર્ષના નાના બાળકની આંખની પાપણમાં ૨૮ જેટલા જંતુઓ (માથાની જૂ) ઇન્જેક્શન વિના માત્ર ટીપા નાખીને અતિ આધુનિક મશીન દ્વારા બહાર કાઢી અત્યંત જટિલ, રસપ્રદ અને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
કપડવંજનું નામ રોશન કરનાર વિકાસ એન્જિનિયરિંગ ટ્રેડિંગ કો. ના ઓનર સ્વ.ફકીરભાઈ છોટાભાઈ પટેલના પૌત્ર ડૉ. મૃગાંક દિવ્યેશભાઈ પટેલ સાવરકુંડલા સ્થિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આંખનો (ઓપ્થાલ્મોલોજી) વિભાગ સંભાળે છે.
આરોગ્ય ક્ષેત્રે અનોખી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા (૧૦૦% નિઃશુલ્ક મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ) ખાતે છેલ્લા સાડા ત્રણ વર્ષથી આંખનો (ઓપ્થાલ્મોલોજી) વિભાગ સફળતાપૂર્વક કાર્યરત છે.
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના આંખના વિભાગમાં એક અત્યંત જટિલ રસપ્રદ અને અનોખું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. અહીં છેલ્લા બે મહિનાથી ડૉ. મૃગાંક પટેલ ફૂલટાઇમ ઓપ્થાલ્મોલોજીસ્ટ ડોક્ટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ડૉ. મૃગાંક પટેલ કે જેઓ એક અનુભવી ઓપ્થાલ્મોલોજીસ્ટ છે અને ઘણા બધા જટિલ ઓપરેશન ખૂબ જ સફળતાપૂર્વક કરી ચુકયા છે. અહીં જટિલ મોતિયો, વેલ તથા આંખમાં છારી બાજી જવાના ઓપરેશન નિયમિત કરવામાં આવે છે.
આ વિભાગમાં તાજેતરમાં જ એક રસપ્રદ કેસ આવ્યો કે જેમાં ૮ વર્ષના એક બાળકની આંખની પાંપણમાં ખૂબ જ દુખતું હતું. ખૂબ ખંજવાળ આવતી હતી અને આંખ લાલચોળ થયેલી હતી. જેના લીધે બાળક ખુબ જ મુશ્કેલીમાં હતું. ડૉ. મૃગાંક પટેલ દ્વારા બાળકની આંખની ઝીણવટપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકની આંખની પાંપણમાં જંતુ છે એ પણ એક બે નહિ ઘણીબધી સંખ્યામાં. જે માટે ઓપરેશન ઇન્જેકશનથી કરવું પડે. પરંતુ તેઓએ આ ઓપરેશન ઇન્જેક્શન વિના ટીપા નાખીને અતિ-આધુનિક મશીન દ્વારા કર્યું. આ ઓપરેશનમાં ડૉ. મૃગાંક પટેલ અને એમની ટીમની મહેનતથી બાળકની આંખની પાંપણમાંથી ૨૮ થી ૩૦ જેટલા જીવિત જંતુ (માથાની જું) કાઢવામાં આવ્યા (જે ફોટામાં એક સફેદ કાગળમાં દેખાઈ રહ્યા છે) હતાં.
આ જટિલ ઓપરેશન બાદ તુરંત જ બાળકને ખૂબ રાહતનો અનુભવ થયો અને બાળકને તરત જ રજા આપી દેવામાં આવી. અતિ જટિલ સફળ ઓપરેશનના બીજા જ દિવસે બાળકને ફરી જોવા માટે આંખની ઓપીડીમાં બતાવ્યું ત્યારે આંખ એકદમ તંદુરસ્ત હતી. આ સફળ ઓપરેશન બાદ બાળક તથા એમના માતા-પિતા અતિ મુશ્કિલ પરિસ્થિતિમાંથી રાહત મેળવી છે અને ખૂબ આનંદિત છે.
આ સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા, દિવ્યકાંતભાઈ સૂચક સહમંત્રી ભરતભાઈ જોષી સમેત તમામ ટ્રસ્ટીગણ આ સંસ્થાની અવિરત પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને પ. પૂ. મોરારીબાપુના આશીર્વાદ સાથે આ હોસ્પિટલ દિનપ્રતિદિન શ્રેષ્ઠ ચિકિત્સા તથા નિદાન સારવાર સાથે સતત પ્રગતિ કરી રહી છે.
ખૂબ જટિલ કામગીરી કરી નાના બાળકને સફળતાપૂર્વક સારવાર કરનાર ડો. મૃગાંક પટેલને સૌએ અભિનંદન પાઠવ્યા હતાં.