સરદાર સરોવર નર્મદા બંધ અને આરોગ્ય વનની મુલાકાત કરી સમગ્ર એકતાનગરના વિકાસને નજરે નિહાળ્યું
હરિયાણા વિધાનસભાની પિટિશન કમિટિના ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ અભ્યાસ પ્રવાસે ગુજરાતની મુલાકાતના ભાગરૂપે ગુરૂવારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું. યમુનાનગરના ધારાસભ્ય ઘનશ્યામ દાસની આગેવાનીમાં આ પ્રતિનિધિમંડળે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલી અર્પી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા, અને સરદાર સાહેબના એક ભારત બનાવવાના કાર્યોની સરાહના કરી હતી.
SOU પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની આ પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્રતાની ગાથા, ગુલામીથી સ્વાતંત્રતા સુધીની સફર, ભારતની એકતા અને અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાન અંગે માહિતગાર થયા હતા.
હરિયાણા રાજયનું પ્રતિનિધિમંડળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નથી નિર્માણ પામેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી સાકાર થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન પ્રકલ્પોના વ્યવસ્થાપન, પ્રવાસીઓ અને સ્થાનિકો માટેની સુવિધાઓની પણ જાતમાહિતી મેળવી હતી. ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર નર્મદા બંધની મુલાકાત કરી હતી. આ દરમિયાન ડેમના નાયબ ઈજનેર શ્રી પ્રણય કાયસ્થ પાસેથી નર્મદા ડેમ વિષેની વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ આરોગ્ય વનની મુલાકાત કરી વિવિધ ઔષધિય વનસ્પતિ અંગે વિસ્તૃતમાં જાણકારી મેળવી હતી.
મુલાકાત બાદ ઘનશ્યામ દાસે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં સૌ પહેલાં ગાંધીનગર વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અમે સરદાર સરોવર ડેમ અને દેશની ૮મી અજાયબીમાં જેની ગણતરી થાય છે તેવા સ્ટેચ્ચુ ઓફ યુનિટીની મુલાકાત કરી અમે અભીભૂત થયાં છીએ. આમારી સાથે ટીમના જે સભ્યો આવ્યા છે તેઓને પણ સરદાર સાહેબનાં કાર્યોને નજીકથી નિહાળવાનો મોકો મળ્યો છે. દેશના ૫૬૨ રજવાડાઓના એકકીકરણ થકી સરદાર સાહેબે જે એક ભારત બનાવ્યું તેવા સરાહનીય કાર્યની અહીં ઝાંખી જોવા મળે છે. એકતાનગર વિસ્તારનો વિશ્વ પ્રવાસન ક્ષેત્રે થયેલો વિકાસ અન્યો માટે અનુકરણીય છે. અમારી આ મુલાકાત અદભુત અને અવિસ્મરણીય રહી છે.
પ્રતિનિધિમંડળની આ મુલાકાત સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર શ્રી ગોપાલ બામણીયા તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા તેઓનું એકતાનગર ખાતે સ્વાગત કરાયું હતું. આ પ્રતિનિધિ મંડળે બુધવારની સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર સાહેબના જીવન-કવનને દર્શાવતો લેશર શો પણ નિહાળ્યો હતો.
રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel