અમદાવાદ શહેરમાં બેફામ ઝડપે દોડતાં વાહનોને કારણે વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં શુક્રવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ બસચાલક વાહન મૂકીને ફરાર થઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
આનંદ ભાજીપાવ નજીક સર્જાયો જીવલેણ અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા આનંદ ભાજીપાવ નજીક દિલ્હી પબ્લિક સ્કૂલની બસે એક યુવકને જોરદાર ટક્કર મારી હતી.
આક્ષેપ છે કે બસચાલક વાહન બેફામ અને પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. બસની ટક્કર એટલી ગંભીર હતી કે યુવકને જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ બસ મૂકીને ચાલક ફરાર
અકસ્માસ સર્જાયા બાદ બસચાલકે ઘાયલ યુવકને મદદ કરવાને બદલે બસને ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ બનતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
યુવકના મોતના સમાચાર ફેલાતાં સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ સર્જાયો હતો.
પોલીસે સ્કૂલ બસ કબજે લીધી
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માસ સર્જનાર DPS સ્કૂલ બસને પોલીસે કબજે લીધી છે. ફરાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની સાથે તેની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
CCTV અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોની તપાસ
પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી શકે છે. સાથે જ અકસ્માત સમયે હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો લેવામાં આવી રહ્યાં છે.
બસચાલકની ઝડપ, બેદરકારી અને વાહનના દસ્તાવેજો સહિતના તમામ પાસાઓની તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel