શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણસુદ પુનમને તા.૧૪ માર્ચ શુક્રવારના રોજ ૨૦૯મો ફુલદોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવનાર છે.
રંગોત્સવની માહિતી આપતા વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં સંતો અને ભક્તો તા.૧૪ માર્ચના રોજ ફાગણી પુનમના રોજ ખેડા જિલ્લાનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો મંદિરમાં બિરાજતા દેવોને વિશેષ શણગાર કરવામાં આવશે જે બાદ ૭ પ્રકારના ૫૦૦૦ કિલો રંગ અર્પણ કરાશે. સવારે ભગવાનને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. આ ઉપરાંત કેસુડાના ૫૦૦૦ કિલો ફુલ, ૨૦૦૦ કિલો ગુલાબની પાંદડીઓ તથા ૧૦૦૦ કિલો હજારીના ફુલની પાંદડીઓથી ભગવાન પર અભિષેક કરાશે. આ ઓર્ગેનીક સપ્તધનુષના રંગો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા છે. શ્રીહરિના રંગે રંગાવવાનો આ અલૌકિક લ્હાવો હશે, આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં ચેરમેન દેવપ્રકાશસ્વામી સહિત વડીલ સંતો એક સાથે શ્રીજીના રંગે રંગાશે. મંદિર પરિસરમાં અલગ અલગ કલરના ૭૦ થી ૮૦ ફુટ ઉંચા ૨૫૦ બ્લાસ્ટ કરાશે. ૩૦૦૦ હજાર કિલો કલરને એરપ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડવામાં આવશે.
આ ઉપરાંત ૧૫૦ થી વધુ રિબિન બ્લાસ્ટ કરવામાં આવશે. ભક્તો શ્રીજીના રંગે રંગાયા બાદ રાસ ગરબાની રમઝટ બોલાવશે. સવારે ૭.૩૦ થી ૧૧.૩૦ કલાક સુધી યોજાનારા રંગ ઉત્સવમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ઉપસ્થત રહીને ભક્તોને રંગભીના આર્શીવાદ પાઠવશે. ત્યારબાદ આચાર્ય મહારાજ શ્રીઅક્ષર ભુવન પાછળ તૈયાર કરવામાં આવેલ મંચ ઉપરથી શ્રી હરિકૃષ્ણ મહારાજના પ્રસાદીના કેસુડાના રંગથી કેસર ધારા વહેવડાવશે. સમગ્ર રંગોત્સવના યજમાન શ્રી સ્વામિનારાયણ મંદિર ફલોરેન્સ યુ.એસ.એ., શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢપુર ધામ વતી રમેશભાઇ જીવરાજભાઇ ધાનાણી, કિરણભાઇ હર્ષદભાઇ પટેલ હસ્તે શાસ્ત્રી હરિચરણ દાસજી (જલગાંવ )છે.