થરાદ તાલુકાના ડેડુવા ગામે ગ્રામપંચાયત દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ-૨ અંતર્ગત મકાનોના સર્વેની કામગીરી ચાલી રહી હોઈ સરકારી કામગીરીમાં દખલગીરી ઊભી કરી ગરીબ લાભાર્થીઓનુ સર્વે ન કરવા દેતા પાંચ શખ્સો સામે ડેડુવા ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી માધાભાઈ પટેલે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ૪ ફેબ્રુઆરીના રોજ લેખિતમાં ફરીયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે સામેવાળા શખ્સોએ અમારા તલાટી કર્મચારીઓ માટે અપશબ્દ બોલવાની સાથે સાથે અમે પટેલ સમાજના હોઈ જ્ઞાતિ વિષયક અપશબ્દ બોલી અભદ્ર ભાષાનો વાણી વિલાસ કર્યો છે અને સામેવાળા શખ્સોને અમે કહ્યું કે આવાસ યોજના અંતર્ગત સર્વેની કામગીરી સરકારના નિયમોનુસાર કરવાની હોઈ એમાં કોઈની ભલામણ નહી ચાલે તેમ કહેતા સામેવાળા શખ્સો ઉશકેરાઈ સર્વેની કામગીરીમાં અડચણો ઊભી કરી ખોટા આક્ષેપો સાથે હોબાળો મચાવી કામગીરીમાં રૂકાવટ ઊભી કરી છે અને જો અહીંયા નોકરી કરવી હશે તો અમારી વાત માનવી પડશે નહીંતર જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું તલાટી કમ મંત્રીએ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું.
જોકે આવાસ યોજના અંતર્ગત સર્વેની કામગીરીમાં રૂકાવટ ઊભી કરનાર વાલાભાઈ દરગાભાઈ રબારી, અજમલજી ધરમશીજી કોળી, ચતરાજી હરચંદજી કોળી, ગોરધનજી ડામરાજી માળી, અશોકજી રાવતાજી માળી તમામ રહે- ડેડુવા, તા- થરાદ વિરુદ્ધ થરાદ પોલીસ મથકે લેખિત ફરિયાદ થતાં થરાદ પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.