પાંડવોએ ગુપ્તવાસ સમયે નિવાસ કર્યો હોવાની લોકવાયકા
કપડવંજ શહેરથી આશરે બારેક કી.મી.દુર કેદારેશ્વર મહાદેવ ગાઢ જંગલોની વચ્ચે બિરાજમાન છે.ત્રણ જીલ્લાઓની ત્રિભેટે આવેલ કેદારેશ્વર મહાદેવની અનેક ગૌરવગાથાઓ છે.સંતો-મહંતોના પગલાંથી પુનિત બનેલ પવિત્ર ધામ તથા ભકિતરસમાં તરબોળ થવા માટેનું એક ઉત્તમ ધાર્મિક સ્થાન કપડવંજનું ગૌરવ છે. વાત્રક (વેત્રવતી) નદીના તટ ઉપર કપડવંજ તાલુકાનું કેદારેશ્વર મહાદેવ વિશાળ જંગલમાં કેદારનાથ બિરાજમાન છે.ખેડા, અરવલ્લી અને ગાંધીનગર જીલ્લાના ત્રિભેટે આવેલ મહાદેવ વાત્રક અને માજૂમ નદીના સંગમ વિસ્તારમાં છે.મહાદેવનું મંદિરનું સ્થાન, વિસ્તાર,વિશાળ માટીના ડુંગરો-કોતરો અને સંપૂર્ણ પ્રાકૃતિક વિસ્તારમાં મહાદેવજી બિરાજમાન છે,મહાદેવ વિસ્તારની ફરતે આવેલ જંગલોમાં કુદરતી રીતે ઉગી નીકળેલા અનેકવિધ ઔષધિય વૃક્ષો અને વનસ્પતિઓ છે.
મહાદેવના મંદિરમાં દધીચિ ઋષિની પ્રતિમા આવેલી છે. જે સુચવે છે કે તેમના સમયમાં આ સ્થાને પ્રાકૃતિક રીતે ઉદૃભવેલ શીવલીંગની પૂજા થતી હશે તેવી એક માન્યતા છે. લોક વાયકા પ્રમાણે આ સ્થાને પાંડવો ગુપ્તવાસ દરમ્યાન નિવાસ કર્યો હશે અને તેમને શિવજીની આરાધના કરી હશે તેમ માનવામાં આવે છે અને વાત્રક નદીમાં ભીમના પગલાં હોવાની પણ એક માન્યતા છે.તથા કેદારેશ્વર એ દ્વાપર યુગનું સ્મરણ હોય તેમ કહેવાય છે. સંન્યાસીઓ અને પરમહંસો માટે પરમ આનંદનું સ્થળ છે.પ્રતિ શ્રાવણ માસમાં તથા મહાશીવરાત્રીએ અહીં મેળો ભરાય છે તેમ મંદિરના ટ્રસ્ટીઓ ગોકળભાઇ પટેલ તથા પંકજભાઈ પંચાલે જણાવ્યું હતું.ઉત્તર ગુજરાતના સૌંદર્યધામ બાલારામ મહાદેવ જેવું કુદરતી લીલાઓથી સૌંદર્યવાન એવું આ સ્થળ છે. કેદારેશ્વર મહાદેવ સંકુલમાં બ્રહ્મલીન કમલેશ ભારતી દ્વારા નવ ગ્રહ,દશ દીગપાલ, સૂર્યમંદિર,વિષ્ણુ મંદિર તથા માં અન્નપુર્ણા માતાજીના મંદિરનું નિર્માાંણ કરવામાં આવ્યું હતું. હાલમાં મોહનાનંદ ભારતી
સેવાભાર સંભાળે છે.

ભૂતકાળમાં શિવલીંગને સ્પર્શ કરીને ઝરણું વહેતું હતું. જે ગુજરાતમાં આવેલ ભુકંપ બાદ બંધ થઈ ગયું. મંદિરનું શીવલીંગ સંપૂર્ણ રીતે કુદરતી છે અને આ સ્થાન પર શિવલીંગને પાદપક્ષાલ કરતું ઝરણું મહાદેવજીને અભિષેક કરીને નીકળતું હતું. જે ગુજરાતમાં ભયાનક ભુકંપ આવ્યો તે પછી ઝરણું વહેતું બંધ થઈ ગયું હતું. આ સ્થાનમાં મોહનદાસ ગુરુ છગનદાસજીના સમયકાળમાં મંદિરમાં આવેલ ધર્મશાળાઓનું નિર્માાંણ થયું હતું.તે સમયે આસપાસના લોકોના સહયોગ અને પરિશ્રમ દ્વારા આ સ્થાનનો અને મંદિર પરીસરનો વિકાસ કર્યો હતો. કાળક્રમે કેદારેશ્વર મહાદેવ મંદિરનો સમાજ અને શ્રેષ્ઠીઓ દ્વારા જીણોંધ્ધાર થયો છે. વર્તમાન સમયમાં કેદારેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તેલનાર ગામના લોકો દ્વારા વ્યવસ્થા કાર્ય સંભાળવામાં આવે છે.
પાડુંરંગદાદા, રંગઅવધૂત, રંગબાળ સહિત અનેક સંતો-મહાપુરુષોએ સાધના કરી હતી
અર્વાચીનકાળમાં અનેક સંતો મહંતોએ તપશ્ચર્યા કરી હતી.જેમાં સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પૂ.પાડુંરંગદાદાએ આ મંદિરના ગર્ભગૃહમાં શિવજીની પૂજા-અર્ચના કરી હતી. તેમજ સન-૧૯૩૯ના અરસામાં નારેશ્વરના સંત પૂ.રંગઅવધૂત મહારાજ આ સ્થાનક ઉપર એક માસ વિતાવ્યો હતો. અને શિવજીની આરાધના કરી હતી. આ સમય દરમ્યાન તેમને બોધમાલિકા નામના પુસ્તકની રચના કરી હતી. તેમના રોકાણ દરમ્યાન જંગલમાં વિચરણ કરતો વાઘ તેમની સામે આવ્યો હતો. તે સમયે મહાપુરુષને અહિંસામાં પ્રતિષ્ઠિત જોઈ વાઘ પણ હિંસા છોડી નત મસ્તક થઈ દર્શન કરી જંગલ તરફ રવાના થઈ ગયો હતો. આ ઘટના રંગઅવધૂતના સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. તેમજ કપડવંજના જગદીશાનંદજીએ (રંગબાળ) એ પણ અત્રે સાધના કરી હતી અને દત્તયાગ પણ કર્યો હતો. તથા રંગ પરિવારના ભક્તોએ જ્યાં જ્યાં રંગઅવધૂત પધાર્યા હતાં.તે સ્થાનો ઉપર ધૂન કરી હતી. જેમાં કેદારેશ્વર મહાદેવમાં પણ ધૂન કરવામાં આવી હતી.
સુરેશ પારેખ ( કપડવંજ )