ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે નવા તબક્કામાં પ્રવેશ્યો છે. મસ્જિદના ભોંયરાના કેટલાક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોની સાથે હવે જૈન સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. જૈન સમાજના આગેવાનો અને સંતોએ દાવો કર્યો છે કે આ સ્થળનો સંબંધ પ્રાચીન જૈન તીર્થ સાથે હોઈ શકે છે અને સમગ્ર સ્થળનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા વૈજ્ઞાનિક સર્વે કરાવવું જોઈએ.
તાજેતરમાં સામે આવેલા વીડિયો અને ફોટાઓમાં પ્રાચીન મૂર્તિઓ, શિલ્પકલા અને સ્થાપત્યના અવશેષો દેખાતા હોવાના દાવાઓ થયા હતા. આ દાવાઓને પગલે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
ભોંયરામાં જૈન અને હિંદુ મૂર્તિઓ હોવાના દાવા
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેટલાક વીડિયો અને ફોટામાં મસ્જિદના ભોંયરામાં પ્રાચીન મૂર્તિઓ અને સ્થાપત્યના અવશેષો જોવા મળ્યા હોવાના દાવા કરવામાં આવ્યા. હિંદુ સંગઠનોનું કહેવું છે કે આ અવશેષો પ્રાચીન હિંદુ અને જૈન ધાર્મિક સ્થાપત્ય સાથે સંકળાયેલા હોઈ શકે છે.
દાવા મુજબ ભોંયરામાં જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની પ્રતિમા તેમજ હિંદુ દેવી-દેવતાઓ સાથે સંબંધિત શિલ્પો હોવાના સંકેતો મળી રહ્યા છે. જોકે, આ દાવાઓની હજુ સુધી કોઈ સત્તાવાર પુરાતત્વીય પુષ્ટિ થઈ નથી.
‘જામા મસ્જિદ નહીં, સમડી વિહાર’ હોવાનો જૈન સમાજનો દાવો
જૈન સંત રાજસુંદરવિજયજી મહારાજે ભરૂચના ઇતિહાસ સાથે જોડાયેલા અનેક જૈન તીર્થોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ વિસ્તાર જૈન ધર્મ માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
તેમના જણાવ્યા અનુસાર ભરૂચનો સંબંધ ‘અશ્વાવબોધ તીર્થ’, ‘પ્રાયશ્ચિત તીર્થ’ અને ‘સમડી વિહાર’ જેવા પ્રાચીન જૈન તીર્થો સાથે રહ્યો છે. જૈન પરંપરા અનુસાર ‘સમડી વિહાર’ અથવા ‘શકુનિકા વિહાર’ નામનું એક મહત્વપૂર્ણ જૈન તીર્થ અહીં આવેલું હતું, જ્યાં આજે મસ્જિદનું બાંધકામ હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.
જૈન સમાજનું કહેવું છે કે આ દાવાઓની સત્યતા જાણવા માટે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક સર્વે જરૂરી છે.
મૂળ પુરાતત્વીય સ્વરૂપ બદલાઈ ગયું હોવાનો આક્ષેપ
જૈન સમાજના આગેવાનોનું કહેવું છે કે વર્ષો દરમિયાન સ્થળ પર થયેલા વિવિધ બાંધકામો અને ફેરફારોને કારણે તેનું મૂળ પુરાતત્વીય સ્વરૂપ બદલાઈ ગયું હોઈ શકે છે.
તેમણે એવો પણ દાવો કર્યો છે કે સ્થળની મુલાકાત અને નિરીક્ષણ માટે તેમને મંજૂરી આપવામાં આવી નથી. આથી તેઓ ASI અને અન્ય સંબંધિત એજન્સીઓ દ્વારા વૈજ્ઞાનિક સર્વે કરવાની માંગ કરી રહ્યા છે.
જામા મસ્જિદ ટ્રસ્ટે દાવાઓને ગણાવ્યા ભ્રામક
બીજી તરફ જામા મસ્જિદ ટ્રસ્ટ અને સ્થાનિક મુસ્લિમ સમાજે આ તમામ દાવાઓને ફગાવી દીધા છે. ટ્રસ્ટનું કહેવું છે કે જામા મસ્જિદ એક ઐતિહાસિક અને સદીઓ જૂની ધાર્મિક ઇમારત છે અને તેના વિશે સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે.
ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ પ્રકારની પોસ્ટ અને વીડિયો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમનું કહેવું છે કે આવા દાવાઓથી સામાજિક અને ધાર્મિક સૌહાર્દને નુકસાન પહોંચાડી શકે છે.
ASI સર્વેની માંગ વચ્ચે વધ્યો રસ
હાલ સમગ્ર મામલે વિવિધ પક્ષો પોતાના-પોતાના દાવા કરી રહ્યા છે. એક તરફ હિંદુ અને જૈન સંગઠનો ASI દ્વારા વૈજ્ઞાનિક સર્વે અને પુરાતત્વીય તપાસની માંગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ મસ્જિદ ટ્રસ્ટ આ દાવાઓને આધારવિહોણા ગણાવી રહ્યું છે.
હવે સૌની નજર એ વાત પર છે કે સંબંધિત સરકારી એજન્સીઓ અથવા અદાલતો દ્વારા આ મામલે કોઈ તપાસ કે સર્વેનો આદેશ આપવામાં આવે છે કે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel