મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધ અને Strait of Hormuz વિસ્તારમાં ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ સપ્લાયમાં મોટો ઘટાડો નોંધાયો છે. Iran, United States અને Israel વચ્ચે વધતા તણાવના પ્રભાવને કારણે ઊર્જા બજારમાં અસ્થિરતા વધતી જાય છે. આવી સ્થિતિમાં ભારત સરકારે સામાન્ય જનતાને રાહત આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે. પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 13 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 3 રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 10 રૂપિયા પ્રતિ લીટરથી સીધી શૂન્ય સુધી લાવવામાં આવી છે. આ પગલાંથી સીધી રીતે ગ્રાહકોને લગભગ 10 રૂપિયા પ્રતિ લીટર સુધી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
The Government of India cuts the special additional excise duties on petrol to Rs 3 per litre from Rs 13 per litre and on diesel to Nil (Zero) from Rs 10 per litre pic.twitter.com/qCaNJlSF62
— ANI (@ANI) March 27, 2026
જો કે, પેટ્રોલ-ડીઝલના વાસ્તવિક ભાવમાં કેટલો ઘટાડો થશે તે હજી સ્પષ્ટ નથી. કારણ કે ફ્યુઅલના ભાવમાં રાજ્ય સરકારો દ્વારા વસુલાતો વેટ (VAT) પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉપરાંત, અંતિમ નિર્ણય તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા લેવામાં આવશે, જે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ, વિનિમય દર અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને રિટેલ કિંમતો નક્કી કરે છે.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના પીપીએસી (PPAC)ના આંકડા મુજબ, ફેબ્રુઆરી 2026માં ભારતીય બાસ્કેટના ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 69.01 ડોલર પ્રતિ બેરલ હતી, જે 24 માર્ચ સુધીમાં વધીને 123.15 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. એટલે કે માત્ર એક મહિનામાં લગભગ 78%નો મોટો વધારો નોંધાયો છે. આ વધારાના કારણે તેલ કંપનીઓ પર ભાવ વધારવાનો દબાણ વધ્યો હતો.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલરથી વધીને 120 ડોલર પાર પહોંચી ગયા છે. જેના કારણે વિશ્વના અનેક ભાગોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં 30%થી 50%, ઉત્તર અમેરિકામાં આશરે 30%, યુરોપમાં 20% અને આફ્રિકામાં 50% સુધીનો વધારો જોવા મળ્યો છે.
વિશ્લેષકોના મતે, કેન્દ્ર સરકારનો આ નિર્ણય તાત્કાલિક રાહત આપવા માટે મહત્વપૂર્ણ છે, પરંતુ લાંબા ગાળે વૈશ્વિક પરિસ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવ પર જ ભારતના ઈંધણના ભાવનો આધાર રહેશે. હાલ માટે, આ પગલું સામાન્ય જનતા પર વધતા મોંઘવારીના બોજને ઘટાડવા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel