ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં સિંચાઈનું પાણી ૩૧ માર્ચથી બંધ કરવાની તંત્રની જાહેરાતથી ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તંત્રએ અગાઉ ૧૫ એપ્રિલ સુધી પાણી આપવાની બાંહેધરી આપી હતી. કાલસર, હુણાદરા, આગરવા, જાખેડ, નેશ અને રખિયાલ સહિતના ગામોના ખેડૂતોએ સિંચાઈના પાણીની આશાએ ડાંગરની વાવણી કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે પાણી વહેલું બંધ થવાથી તેમનો પાક સુકાઈ જવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં તેઓ ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે.
મહી કેનાલમાંથી સિંચાઈનું પાણી મેળવતા આ વિસ્તારના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર વારંવાર ૧૫ એપ્રિલ સુધી પાણી આપવાનું વચન આપે છે. પરંતુ પછીથી ૧૫ દિવસ વહેલું બંધ કરીને તેમને મુશ્કેલીમાં મૂકી દે છે. આ મામલે નડિયાદના ઈજનેર કે.સી. ચૌહાણે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય રીતે ૧૫ માર્ચે પાણી બંધ કરવામાં આવે છે. આ વર્ષે ૩૧ માર્ચ સુધી પાણી આપવામાં આવશે. કેનાલની મરામત અને સફાઈની કામગીરી માટે પાણી બંધ કરવું જરૂરી છે. તેમણે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી વચલો રસ્તો કાઢવાની ખાતરી આપી છે.