ગઢડા પંથકના લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે મગરીયા ખોડીયાર મંદિર. ગઢડામા આવેલું મગરીયા ખોડીયાર માતાજીનું મંદિર જે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. માતાજીના મંદિરનો ઈતિહાસ રોચક છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવાધાર સીમ વિસ્તારના કુદરતી વાતાવરણમાં ડુંગર ઉપર ઐતિહાસિક ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર મગરીયા ખોડીયાર તરીકે પંથકમાં પ્રચલિત છે. મંદિરે દરરોજ શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે. અને રવિવારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો મગરીયા ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે અને પોતાની માનતાઓ પુરી કરે છે. ગઢડામાં આવેલા મગરીયા ખોડીયાર માતાજીના મંદિરનો ઈતિહાસ હજ્જારો વર્ષ પહેલાં પાંડવોના વનવાસકાળ સાથે જોડાયેલો છે. હાલ જ્યાં મંદિર છે તે વિસ્તાર હિડમબા વનનો છેલ્લો ભાગ હતો. પાંડવો વનવાસ દરમ્યાન અહિં આવેલા. તો સ્વામીનારાયણ ભગવાન માણકી ઘોડી લઈને અહિં મગરીયા ખોડિયારે વિચરણ કરતા હતા અને હાલ પણ સ્વામિનારાયણ ભગવાનના ચરણ પગલા આવેલા છે. આમ મગરીયા ખોડીયાર ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે.
અનેક સાધુસંતો માતાજીની સેવા પૂજા કરવા માટે મંદિરે આવતા પરંતુ એકાદ બે દિવસમાં તે અહિંથી રવાના થઈ જતા હતા. અને આ સ્થળ પર કોઈપણ વ્યક્તિ રાત્રે રોકાઈ શકતુ નહોતુ, ત્યારે ધીરૂભાઈ જોગીયાએ ૩૬ વર્ષ પહેલા માતાજીની સેવા પૂજા શરૂ કરી હતી. મગરીયા ખોડીયાર માતાજીના ચરણે કોઈપણ દુખીયા આવે અને શ્રધ્ધાથી માતાજીને પ્રાર્થના કરે એટલે માતાજી ચોક્કસ તેની મનોકામના પૂર્ણ કરે છે. માતાજીના આશીર્વાદથી અનેક લોકો ગંભીર બિમારીમાંથી મુક્ત થયા છે. અનેક નિસંતાન લોકોને ઘેર પારણા બંધાયા છે. માતાજીના મંદિરે વર્ષ દરમ્યાન આવતા દરેક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીમાં પણ ભવ્ય ગરબા કરવામાં આવે છે અને દરરોજ માતાજીને લાપસીની પ્રસાદી ધરાવાય છે. ભાવિકો મોટી સંખ્યામાં માતાજીના ગરબા કરવા મંદિરે આવે છે અને માતાજીના દર્શન કરી ધન્ય થાય છે.
ગઢડામા આવેલ મગરીયા ખોડીયાર મંદિર કૃષ્ણ અવતારમાં પાંડવ કાલીન સમયે જે હિડમબા વન હતું અને અહિં વિશાળ સરોવર હતુ જે સરોવરમાં મોટી સંખ્યામાં મગરો રહેતા હતા અને તે મગર આ ટેકરી પર આવી આરામ કરતા હતા એટલે આ સ્થળ મગરીયા ખોડીયાર તરીકે ઓળખાય છે. નવરાત્રી દરમ્યાન રાત્રીના સમયે માતાજી બહાર આવતા અને ઘૂઘરાનો અવાજ આવતો આમ આ મંદિર ઊજળો ઈતિહાસ ધરાવતું મંદિર છે. મગરીયા ખોડીયાર મંદિરની આસપાસ હજ્જારો વિઘા જમીન આવેલી છે. ખોડિયાર મંદિર ખેડૂતોની આસ્થાનું કેન્દ્ર છે એટલે ચોમાસા દરમ્યાન ખેડુતો પહેલા મગરીયા ખોડીયાર માતાજીને લાપસી ધરાવે છે અને પછી વાવણી કરવાનુ ચાલુ કરે છે. પહેલા માતાજીની નાનકડી દેરી હતી જે હાલ વિશાળ મંદિર બન્યું છે. અહિં યુવાનો દ્વારા મંદિરનું ગ્રુપ બનાવી મંદિરનો વિકાસ કરી રહ્યાં છે. અને દરરોજ મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવતા શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.