વલસાડ જિલ્લાના વાપી નજીક દમણગંગા નદીમાંથી મળેલી અજાણી મહિલાની લાશના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પ્રાથમિક રીતે અજાણ્યા મૃતદેહ તરીકે મળેલી મહિલાની ઓળખ બાદ સમગ્ર ઘટનાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા વાપીના ગીતા નગર વિસ્તારમાં રહેતી ખુશ્બૂ ખાન હતી. તેના પિતાની ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસે કેસની સઘન તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ખુલ્યું કે ખુશ્બૂ ખાન અને ઈરફાન ખાને લગભગ ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. શરૂઆતમાં બંનેનું દાંપત્ય જીવન સુખમય હતું, પરંતુ સમય જતાં બંને વચ્ચે અવિશ્વાસ અને વિખવાદ વધતા વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા.
પોલીસ મુજબ સતત તણાવ વચ્ચે ખુશ્બૂ ખાને આત્મહત્યા કરી હતી. ઘટના બાદ પતિ ઈરફાન ગભરાઈ ગયો હતો અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાના મિત્ર વીરેન્દ્ર ગોંડેની મદદથી ખુશ્બૂની લાશને દમણગંગા નદીમાં ફેંકી દીધી હતી.
આ મામલે વાપી પોલીસે પતિ ઈરફાન ખાનની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ પત્નીને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો તેમજ પુરાવા નષ્ટ કરવાનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ મિત્ર વીરેન્દ્ર ગોંડેને પણ સહ-આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે, કારણ કે તેણે લાશ નષ્ટ કરવામાં મદદ કરી હતી.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. આ ઘટના દાંપત્ય વિખવાદ અને તેની ગંભીર અસરો તરફ ધ્યાન દોરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel