ગુજરાતમાં ચોમાસાની સિઝન હવે અડધાથી વધુ સફર પૂર્ણ કરી ચૂકી છે અને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. ખાસ કરીને 24 અને 25 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત તેમજ સરહદી વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર તેમજ બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.
રાજ્યમાં ભારે વરસાદની વચ્ચે હાલ 21 ડેમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 4 ડેમ એલર્ટ અને 14 ડેમ વોર્નિંગ સ્તરે પહોંચી ગયા છે. સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે રાજ્યના 14 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.

માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ ભારે વરસાદના કારણે રાજ્યભરમાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. સ્ટેટ હાઇવે, પંચાયત માર્ગો અને અન્ય રસ્તાઓ સહિત કુલ 648 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 34 જિલ્લાઓના 265 તાલુકાઓમાં સરેરાશ 56.19 મિ.મી. (આશરે 2.2 ઇંચ) વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુરમાં 15 ઇંચ નોંધાયો છે, જ્યારે રાધનપુરમાં 13.46 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભાભર ખાતે 11.3 ઇંચ, દિયોદરમાં 10.83 ઇંચ અને ખેડાના નડિયાદમાં 10.31 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અહીં સિઝનનો કુલ 76.39 ટકા એટલે કે 1177.98 મિ.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 43.33 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 43.21 ટકા અને ઉત્તર ગુજરાતમાં 34.90 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ વિસ્તારમાં અત્યાર સુધીમાં માત્ર 18 ટકા વરસાદ નોંધાતા તે રાજ્યનો સૌથી ઓછો વરસાદ ધરાવતો વિસ્તાર રહ્યો છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,30,289 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ ક્ષમતાના 68.93 ટકા જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ 44.82 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે, જે કૃષિ અને પીવાના પાણી માટે રાહતરૂપ માનવામાં આવે છે.
ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં બચાવ અને રાહત કામગીરી તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 40,675 લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 6,766 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. સ્થળાંતરમાં સુરતમાંથી 14,357 અને વલસાડમાંથી 15,674 લોકોનો સમાવેશ થાય છે.

પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની 17 ટીમો, SDRFની 32 પ્લાટૂન તેમજ ભારતીય સેનાની 6 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ ભારે વરસાદ અને પવનના કારણે વીજ પુરવઠા વ્યવસ્થાને પણ મોટું નુકસાન થયું છે. GUVNLના જણાવ્યા અનુસાર 4,525 અસરગ્રસ્ત ગામડાઓમાંથી 4,348 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે હજુ પણ 177 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel