જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને ઐતિહાસિક સફળતા મળી છે. લાંબા સમયથી આતંકીઓની દુનિયામાં “હ્યુમન જીપીએસ” તરીકે ઓળખાતો ખતરનાક આતંકી બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. આ કાર્યવાહી દરમિયાન તેની સાથે વધુ એક પાકિસ્તાની ઘુસણખોર પણ મોતને ભેટ્યો હતો. સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, બાગુ ખાનનો અંત માત્ર એક આતંકીનું નથી, પરંતુ ભારત માટે વર્ષોથી માથાનો દુખાવો બનેલી ઘૂસણખોરીની ચેનને મોટો ઝટકો છે.
અહેવાલો મુજબ, બાગુ ખાન વર્ષ 1995થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં રહેતો હતો અને છેલ્લા ત્રણ દાયકાથી સતત આતંકી સંગઠનોને ભારત વિરુદ્ધ ઘૂસણખોરીના પ્રયાસોમાં મદદ કરતો હતો. તેની સૌથી મોટી ખાસિયત હતી કે તેને ગુરેઝ સેક્ટર અને આસપાસના પહાડી વિસ્તારોના ગુપ્ત માર્ગો, જંગલિયા રસ્તાઓ અને નદીનાળાઓ વિશે અત્યંત બારીક માહિતી હતી. આ જ કારણે આતંકી સંગઠનો માટે તે “જીવંત નકશો” સમાન હતો. સુરક્ષા એજન્સીઓ માને છે કે બાગુ ખાન અત્યાર સુધીમાં 100થી વધુ ઘૂસણખોરીના પ્રયાસોમાં સીધો સામેલ રહ્યો છે, જેમાંથી મોટાભાગના સફળ રહ્યા હતા.
બાગુ ખાન હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર તો હતો જ, પરંતુ તે ફક્ત એક જ સંગઠન સુધી મર્યાદિત નહોતો. લશ્કર-એ-તોયબા, જયેશ-એ-મોહમ્મદ અને અન્ય ઘણા આતંકી સંગઠનોને તેણે ભારતની સીમા ઓળંગવાની યોજના બનાવવા, યોગ્ય માર્ગ પસંદ કરવા અને ઘૂસણખોરોને સલામત રીતે પ્રવેશ કરાવવા મદદ કરી હતી. તેના આ અનુભવ અને ઊંડા ભૂગોળીય જ્ઞાનને કારણે તેને આતંકીઓ વચ્ચે ‘સમંદર ચાચા’ અને ‘હ્યુમન જીપીએસ’ તરીકે ઓળખવામાં આવતો હતો.
28મી ઑગસ્ટની રાત્રે તે ફરી એક વાર નૌશેરા નાર વિસ્તારમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ આ વખતે સુરક્ષા દળોએ તેની ગતિ પર પહેલેથી જ નજર રાખી હતી. એલર્ટ બોર્ડર પેટ્રોલિંગ ટીમે તેને અને તેના સાથીને ઘેરી લીધા બાદ જોરદાર ફાયરિંગ થયું અને એન્કાઉન્ટરમાં બંને આતંકીઓ મોતને ભેટ્યા.
સુરક્ષા અધિકારીઓનું માનવું છે કે બાગુ ખાનના મોતથી આતંકી સંગઠનોના લોજિસ્ટિક્સ નેટવર્કને મોટું નુકસાન થયું છે. અત્યાર સુધી તે જે રસ્તાઓ અને ગુપ્ત માર્ગોનો ઉપયોગ કરીને આતંકીઓને ભારતમાં પ્રવેશ અપાવતો હતો, તે નેટવર્ક હવે લગભગ અશક્ત થઈ ગયું છે. ત્રણ દાયકાથી જે આતંકી ભારતીય સેનાને વારંવાર ચૂભતો રહ્યો હતો, તેનો અંત થતાં સુરક્ષા દળોએ મોટી રાહત અનુભવી છે.
સમંદર ચાચાનો અંત માત્ર એક આતંકીની હત્યા નથી, પરંતુ ભારત માટે ઘૂસણખોરીના સતત ખતરાની જડને નાશ કરવાનો એક મોટો તબક્કો છે. આ ઘટનાએ પાકિસ્તાનમાંથી થતી ઘૂસણખોરીની યોજનાઓને મોટો ઝટકો આપ્યો છે અને કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયાને મજબૂતી મળી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel