જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. સુરક્ષા દળોએ 24 કલાકમાં અથડામણમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા છે.
જોકે, તેની બાદ આઠ આતંકવાદીઓની શોધ હજુ પણ ચાલુ છે. આ અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આતંકવાદીઓ સામે ચલાવવામાં આવી રહેલા સફળ અભિયાનની માહિતી આપી હતી.
કુલ 6 આતંકવાદીઓનો ખાત્મો
જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાન અંગે માહિતી આપતા પોલીસ આઈજીપી વીકે બિરદીએ જણાવ્યું હતું કે, છેલ્લા 48 કલાકમાં, અમે બે ખૂબ જ સફળ કામગીરી હાથ ધરી છે. આ બે કામગીરી કેરન અને ત્રાલ વિસ્તારોમાં કરવામાં આવી હતી. જેમાં કુલ 6 આતંકવાદીઓનો ખાત્મો થયો હતો. અમે રાજ્યમાં આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
સુરક્ષા દળોના સંકલન અને બહાદુરીના કારણે આ શક્ય બન્યું
આ ઉપરાંત સીઆરપીએફના આઈજી મિતેશે કહ્યું, સૌપ્રથમ, હું આપણા સૈનિકો અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓને અભિનંદન આપવા માંગુ છું જેમણે આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી.
સુરક્ષા દળોના સંકલન અને બહાદુરીના કારણે આ શક્ય બન્યું છે. હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે આ સંકલન ભવિષ્યમાં પણ રહેશે અને આપણે જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરી શકીશું. હું જનતાનો પણ તેમના સમર્થન માટે આભાર માનું છું. આ સમર્થન સાબિત કરે છે કે તેઓ પણ ઇચ્છે છે કે જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો અંત આવે.