ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દાતાઓ, આગેવાનો અને ગ્રામજનોનાં સુંદર સહયોગથી ભવ્ય પ્રસંગ યોજાયો.
સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં ગામ સમસ્તનાં આયોજન સાથે વતનપ્રેમી દાતાઓનાં સહયોગ દ્વારા નવનિર્મિત શિવમંદિરમાં ભક્તિભાવ સાથે સોમવાર તા.૨૮થી બુધવાર અખાત્રીજ તા.૩૦ દરમિયાન પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.
નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધાર માટેની સમિતિનાં અગ્રણીઓનાં સંકલન સાથે આયોજન થઈ ગયું. મુખ્ય દાતાઓ અંજુબેન તથા કાળુભાઈ ગોવિંદભાઈ ભીકડિયા, સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ જસમતભાઈ લુખી પરિવાર, સ્વર્ગસ્થ ગોદાવરીબેન તથા હિરાભાઈ ભિમાભાઈ ઈટાળિયા પરિવાર, સ્વર્ગસ્થ મોતીબેન, સ્વર્ગસ્થ અરજણભાઈ તથા સ્વર્ગસ્થ પુનાભાઈ વીરાભાઈ ગોહિલ પરિવાર અને કડવીબેન રણછોડભાઈ નાકરાણી તથા મધુબેન શંભુભાઈ નાકરાણી પરિવાર સાથે ગામનાં અન્ય નાની મોટી રકમનાં દાતાઓ દ્વારા લગભગ રૂપિયા સવા કરોડનાં ખર્ચે શિવાલય નિર્માણ થયું. આ શિવાલયનો અગાઉ સંવત ૨૦૦૪માં જીર્ણોધ્ધાર થયેલ જે તકતી ઉલ્લેખ મુજબ શેઠ સુંદરજી મોતીભાઈનાં વિધવા ગંગા સ્વરૂપ કાશીબહેને પોતાનાં નણંદ સદગત જૂઠીબેનનાં પુણ્યાર્થે રૂપિયા ૧૦૦૧ આપેલાં.
નીલકંઠ મહાદેવ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ સાથે પવિત્ર જ્યોત પણ રાખવામાં આવેલ જેમાં દુધરેજ વડવાળા દેવસ્થાન મહંત કણીરામજીબાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ પ્રસંગે ભવ્ય સામૈયા અને તેમનાં આશિર્વચન લાભ મળ્યો. આ પ્રસંગે ભોળાદનાં દાનુભાબાપુએ પણ પ્રેરક ઉપસ્થિતિ સાથે સૌને આશીર્વાદ આપ્યાં. ધારાસભ્ય ભિખાભાઈ બારૈયાની પ્રેરક ઉપસ્થિતિ રહી.
ઈશ્વરિયા ગામનાં આ ભવ્ય દિવ્ય પ્રસંગે આચાર્ય પદે નીલકંઠભાઈ દવે રહ્યાં અને ઉપાચાર્ય પદે ત્રિલોકભાઈ શાસ્ત્રી તથા વસંતરાય શાસ્ત્રી રહ્યાં. આ પ્રસંગે સહયોગીઓનું અભિવાદન કરવામાં આવેલ અને સૌ પ્રત્યે વીરશંગભાઈ સોલંકીએ આભારભાવ વ્યક્ત કરેલ. અહીંયા ૧૦૫ જેટલાં દંપતીઓ આ વિધિમાં જોડાયાં. પૂજારી ગોસ્વામી પરિવાર સાથે સેવાભાવી કાર્યકર્તાઓ સતત કાર્યમાં જોડાયેલાં રહ્યાં.
ઈશ્વરિયા ગામમાં નિર્મિત શિવાલયમાં ગ્રામજનો, વતનપ્રેમી દાતાઓ દ્વારા ખુબજ સહયોગ મળ્યો અને ભવ્ય દિવ્ય પ્રસંગ યોજાયો. ત્રણ દિવસ દરમિયાન ગામની બહેનો, દીકરીઓ અને ગ્રામજનોનો લાગણી સભર વિશાળ મેળાવડો રહ્યો.