ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા રાજકોટ ક્લેક્ટર કચેરી ખાતેથી ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગેની તૈયારીઓ વિશે સમીક્ષા કરી હતી.
મંત્રી નિમુબેન બાંભણીયા જણાવ્યું હતું કે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંદાજીત ૪૨ લાખ મેટ્રીક ટન ઘઉં ઉત્પાદન થવાની સંભાવના છે. જેમાંથી ૧૨ લાખ મેટ્રીક ટન ઘઉં ગુજરાતની જનતાને રાશન માટે જરૂર પડે છે ત્યારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી કેન્દ્ર સરકાર સમગ્ર રાષ્ટ્રના ૮૦ કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને નિ:શુલ્ક રાશન વિતરણ ઘઉં પહોંચાડશે. આ માટે ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓને વધુને વધુ ખેડૂતો ઘઉંના વેચાણ અર્થે નોંધણી કરાવે તે માટે તકેદારી લેવા જણાવ્યું હતું…
સાથે જ ખેડૂતો સરળતાથી નોંધણી કરાવી શકે, પોતાની જણસી નજીકનાં કેન્દ્ર પર વહેંચવા માટે જઈ શકે અને જો તેમને નોંધણી સમયે દસ્તાવેજ ને લગત કોઈપણ પ્રશ્ન થાય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવી તેમને તમામ સુવિધાઓ પુરી પાડવા અધિકારીઓ ને તાકીદ કરી હતી…
મંત્રીશ્રી એ પડધરી ખાતેથી ઘઉંની ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. જેમા કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે જ ૨૫૦ ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ ૨૧૮ ખરીદ કેન્દ્રો પર ઘઉંની ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં ૧૯૩ જિલ્લા પુરવઠા ગોડાઉન ખરીદ કેન્દ્રો તેમજ ૨૫ એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્રો ખાતે ઘઉંની ટેકાના ભાવની ખરીદીની કામગીરી આગામી તા. ૩૧ મે ૨૦૨૫ સુધી કરવામાં આવશે…
પડધરીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદારી ચાલુ કરવા સાથે મંત્રી બાંભણીયા એ જાહેરાત પણ કરી હતી કે પડધરીમાં ઘઉં સાફ કરવા માટે બે ઓટોમેટીક મશીન પણ મુકવામાં આવશે જેનાથી કામગીરી સરળ અને ઝડપી બનશે.
આ બેઠકમાં કેન્દ્રિય પુરવઠા વિભાગના જોઈન્ટ સેક્રેટરી સી. શિખા, PS શ્રીમતી જાગૃતિબેન શિંગળા, ગુજરાત સરકાર ના સેક્રેટરી આર. મીણા, અન્ન નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેક્ટર મયુર મહેતા, રાજકોટના કલેક્ટર પ્રભવ જોષી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.