પશ્ચિમ બંગાળમાં થયેલી ચકચાર મચાવતી ચંદ્રનાથ રથ હત્યા કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ એજન્સી CBI કરશે. મંગળવારે (12 મે)થી CBI આ કેસની સત્તાવાર રીતે તપાસ શરૂ કરશે.
આ પહેલાં પશ્ચિમ બંગાળ સરકારે આ કેસની CBI તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં આ કેસની તપાસ રાજ્ય પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી રહી હતી, જે હવે CBIને હસ્તાંતરિત કરવામાં આવશે.
માહિતી મુજબ, ચંદ્રનાથ રથ 6 મેના રોજ કોલકાતાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. એરપોર્ટ નજીક મધ્યમગ્રામ વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ બાઇક પર આવી તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ચંદ્રનાથ રથનું મોત થયું હતું, જ્યારે તેમના ડ્રાઇવરને પણ ગોળી વાગી હતી અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘટના બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉત્તર પ્રદેશ અને બિહારથી ત્રણ સંદિગ્ધોની ધરપકડ કરી હતી. હાલમાં આ તમામ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે.
હવે CBI તપાસ હાથમાં લેતા આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. એજન્સી આરોપીઓની કસ્ટડી મેળવીને વધુ પૂછપરછ કરી શકે છે અને હત્યાના પાછળના કારણો તથા સંભવિત સાજિશ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel