ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઇટલિસ્ટ ટિકિટની સંખ્યા ટ્રેનની કુલ ક્ષમતાના 25 ટકા સુધી મર્યાદિત રહેશે. આ નવા નિયમનો ઉદ્દેશ્ય મુસાફરોને વધુ સારી મુસાફરી અનુભવ પ્રદાન કરવાનો અને ઓવરબુકિંગની સમસ્યા ઘટાડવાનો છે.
હવે રેલવે દરેક ટ્રેનના એસી ફર્સ્ટ ક્લાસ, એસી સેકન્ડ, એસી થર્ડ, સ્લીપર અને ચેર કારમાં કુલ બર્થ/સીટના મહત્તમ 25 ટકા માટે વેઈટિંગ ટિકિટ જારી કરશે. આ ફેરફાર દિવ્યાંગજન, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે અનામત બેઠકો જેવા વિવિધ ક્વોટાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
ટ્રેનમાં ભીડ પણ ઓછી થશે
રેલવે અધિકારીઓના જણાવ્યાનુસાર, આંકડાઓ દર્શાવે છે કે ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધીમાં લગભગ 20 ટકાથી 25 ટકા વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઈ જાય છે. આ આધારે નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે જેથી મુસાફરો ટિકિટની સ્થિતિ વિશે વધુ સ્પષ્ટતા મેળવી શકે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્ર પછી દેશભરના વિવિધ ઝોનલ રેલવે આ નવી સિસ્ટમ લાગુ કરવાનું શરૂ કરી દીધું છે.
આ નિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો, મેલ/એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો જેવી તમામ શ્રેણીઓની ટ્રેનોને લાગુ પડશે. જેમ કે,જો કોઈ ટ્રેનમાં 1,000 સીટો ઉપલબ્ધ હોય, તો મહત્તમ 250 વેઇટલિસ્ટ ટિકિટ જારી કરવામાં આવશે. જેથી મુસાફરોની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ તો વધશે જ, પરંતુ ટ્રેનમાં બિનજરૂરી ભીડ પણ ઓછી થશે.
અત્યાર સુધી વેટિંગની મર્યાદા કેટલી હતી?
જાન્યુઆરી 2013ના પરિપત્ર અનુસાર, અગાઉ એસી ફર્સ્ટ ક્લાસમાં વધુમાં વધુ 30, એસી સેકન્ડમાં 100, એસી થર્ડમાં 300 અને સ્લીપર ક્લાસમાં 400 વેઈટિંગ ટિકિટ જારી કરી શકાતી હતી. આ કારણે મુસાફરો ઘણીવાર છેલ્લી ક્ષણ સુધી તેમની ટિકિટ કન્ફર્મ થવાની ચિંતા કરતા હતા.
એક વરિષ્ઠ રેલવે અધિકારીના જણાવ્યાનુસાર, વેઈટિંગ ટિકિટોની મોટી સંખ્યાને કારણે, કન્ફર્મ ટિકિટ વિના મુસાફરો રિઝર્વ્ડ કોચમાં ચઢતા હતા, જેના કારણે કોચમાં ભીડ અને અરાજકતા સર્જાતી હતી. નવી નીતિ આ અરાજકતાને રોકવામાં મદદ કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel