અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી માનનીય મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા.
‘હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’ – આદિવાસી વિસ્તારો માટે પ. પૂ. મહંત સ્વામી મહારાજે મોબાઈલ પાઠશાળાનો કરાવ્યો શુભારંભ.
બી. એ. પી. એસ સંસ્થા દ્વારા બાળકો માટે વિશિષ્ટ યુટ્યુબ ચેનલ ‘ BAPS Kids’ નો શુભારંભ.
પ. પૂ. મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ ‘ ઈન્સાઈટ્સ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા’ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું.
બે લાખ જેટલાં હરિભક્તો દ્વારા કરવામાં આવેલી સમૂહ આરતીથી સર્જાયો અલૌકિક માહોલ.
તા. ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વડોદરા ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજની ૯૨ મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક અનેરા ભક્તિભાવથી કરવામાં આવી હતી.
પ. પૂ. મહંત સ્વામી મહારાજની દિવ્ય વાણી, આધ્યાત્મિક પ્રભાવ, અહંશૂન્યતા અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને દર્શાવતી વિશિષ્ટ વિડિયોની સાથે બી. એ. પી. એસ. સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પ. પૂ. મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, ગુણો અને કાર્યો પર વિશેષ પ્રકાશ પાડતાં મનનીય પ્રેરક ઉદ્બોધનો કરવામાં આવ્યા હતા. આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત એવા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું બી. એ. પી. એસ. ના વરિષ્ઠ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારી દ્વારા પ. પૂ. મહંત સ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બહુમાન – Largest Simultaneous Hindu Text Recital – ‘હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન’ બદલ કુલ બાળકોમાંથી કુલ ૧૨,૭૨૩ બાળકોની ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ દ્વારા આ રેકોર્ડ માટે સત્તાવાર નોંધણી કરવામાં આવી હતી.
પ. પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી. એ. પી. એસ સંસ્થાના ૩ વર્ષથી ૧૩ વર્ષની વય સુધીના ૧૫,૬૬૬ જેટલાં બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, વ્યવહારિક જીવનની પ્રેરણા પૂરી પાડે છે.
કોઈ એક સંસ્કૃત ગ્રંથનો, તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૧૫,૬૬૬ બાળ-બલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે ૩૧૫ શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય, તેવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે. આ અવસરે અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા પાઠવવામાં આવેલા શુભેચ્છા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી માનનીય મોહન યાદવ જીએ પ. પૂ. મહંત સ્વામી મહારાજના જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. પ. પૂ. મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન એવા જબલપુરનો ઉલ્લેખ કરી માનનીય મુખ્યમંત્રી મોહન યાદવજીએ ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
મંત્રપુષ્પાંજલિ દ્વારા સૌ ભક્તોએ પ.પૂ. મહંત સ્વામી મહારાજના ચરણોમાં ગુરુભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.
પ.પૂ. મહંતસ્વામી મહારાજે પણ સૌને ઉન્નત આધ્યાત્મિક જીવનની પ્રેરણા આપતાં આશીર્વચન દ્વારા કૃતાર્થ કર્યા હતા. તેમણે આશીર્વાદ આપતાં જણાવ્યું,
“પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ‘બીજાના આનંદમાં આપણો આનંદ છે.’ ભગવાન જ સર્વકર્તાહર્તા છે. શાસ્ત્રીજી મહારાજે ખૂબ પુરુષાર્થ કરીને આ સંસ્થા સ્થાપી. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે તેનું સંવર્ધન કર્યું છે. આ સંસ્થા સિદ્ધાંતને વરેલી સંસ્થા છે. આ સંસ્થા સંપની સંસ્થા છે. આ સંસ્થા તે સમજણની સંસ્થા છે. આજે જે ગિનિસ બુકનું સન્માન મળ્યું છે, તેની પાછળ આ બાળકોની કઠણ મહેનત છે અને આ સન્માન તમામ ગુરુઓને સમર્પિત છે. સંતો, કાર્યકર્તાઓ અને વાલીઓએ ખૂબ મહેનત કરી છે, આ તેમનું સન્માન છે.”
સમગ્ર કાર્યક્રમને અંતે લાખો દીવડાઓ દ્વારા સમૂહઆરતી સમયે હૃદયંગમ વાતાવરણ સર્જાયું હતું.
આ જન્મજયંતી સમારોહમાં બી.એ.પી.એસ.ના ૮૦૦ સંતો તેમજ અંદાજે બે લાખ જેટલા ભક્તો-ભાવિકો સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.આ ભવ્ય આયોજન માટે ત્રણ મહિનાથી વધુ સમય સુધી વ્યાપક આયોજન અને તૈયારીઓ ચાલી હતી, જેમાં બી.એ.પી.એસ.ના સેંકડો સંતો તથા ૩૪ સેવાવિભાગોના ૧૪,૦૦૦ સ્વયંસેવકોએ અવિરત સેવા આપી હતી.
આ ઐતિહાસિક મહોત્સવ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સુરક્ષા, સલામતી અને જરૂરી સેવાઓ બાબતે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
આ સમારોહ દ્વારા સૌએ વિનમ્રતા, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવાના ભાવ સાથે જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી. આ મહોત્સવને ભારત તેમજ વિદેશમાં રહેલા અસંખ્ય ભક્તો – ભાવિકોએ live.baps.org તથા આસ્થા ભજન ચેનલ દ્વારા જીવંત પ્રસારણ દ્વારા નિહાળ્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel