બાંગ્લાદેશમાં હાલ ચાલતી વચગાળાની સરકાર, જેનું નેતૃત્વ મુહમ્મદ યુનુસ કરે છે, એ દેશમાં ધર્મનિરપેક્ષતા અને લોકશાહી માટે એક ગંભીર પડકારરૂપ બની છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ સત્તા સંભાળનારા યુનુસે જે પ્રકારના કટ્ટરપંથી અને શરિયા તરફ ઝુકાવ ધરાવતાં નિર્ણયો લીધા છે, તેને કારણે હવે બાંગ્લાદેશના ભવિષ્ય વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા ઊભી થઈ છે. ખાસ કરીને મહિલાઓના પોશાક, અભિવ્યક્તિ અને રોજિંદા જીવન પર લાદવામાં આવતા પ્રતિબંધો, તેમજ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા કર્મચારીઓ પર લાગતા દંડાત્મક નિયમો, એ તમામ ઘટનાક્રમો તાલિબાન શાસિત અફઘાનિસ્તાનની યાદ અપાવે છે.
જુલાઈ 2025માં બાંગ્લાદેશ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં મહિલા કર્મચારીઓ માટે સાડી કે સલવાર કમીઝ અને હિજાબ ફરજિયાત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જ્યારે ટૂંકા ડ્રેસ, ટૂંકી બાંયના કપડાં અને લેગિંગ્સ પર પ્રતિબંધ મૂકાયો હતો. આ સાથે પુરુષ કર્મચારીઓ માટે પણ જીન્સ અને ચીનો ટ્રાઉઝર્સ પર નિયંત્રણ મૂકાયું. આ આદેશને માત્ર પોશાકની નીતિ ગણાવવાની ભૂલ ન કરવી જોઈએ, કારણ કે એ મહિલાઓના વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને શરીર પરના અધિકારનો સીધો ભંગ છે. આ નિર્ણયની સોશિયલ મીડિયા અને નારી હિતમાં કાર્યરત સંગઠનો દ્વારા ઉગ્ર ટીકા કરવામાં આવી છે. બાંગ્લાદેશ મહિલા પરિષદે તો આ પ્રકારના આદેશને ‘સાંસ્કૃતિક નિયંત્રણ’ દ્વારા મહિલાઓના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
અહીં હકીકત એ છે કે યુનુસ સરકારે માત્ર પોશાક નહીં, પરંતુ વિરોધ સ્વરૂપે જોતી કોઈપણ પ્રવૃત્તિ પર પણ નિયંત્રણ લાદ્યું છે. સરકારી કર્મચારીઓના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મુકતો વટહુકમ એ વાતનો પુરાવો છે કે સરકારે હવે મતભિન્નતા કે અવાજ ઉઠાવનારી દરેક ક્રિયાને ‘અનાદર’ કે ‘વિક્ષેપકારક વર્તન’ તરીકે લેબલ કરવાની શરૂઆત કરી છે.
માત્ર નીતિઓ નહીં, પરંતુ યુનુસના સમયમાં જાહેર થયેલા કેટલાક નિર્ણયો પણ બાંગ્લાદેશને ધાર્મિક કટ્ટરપંથ તરફ ધકેલે છે. જેમ કે ‘જમાત-એ-ઇસ્લામી’ જેવું વિવાદાસ્પદ ઇસ્લામી સંગઠન પરનો પ્રતિબંધ હટાવવો, તેમજ અન્સારુલ્લા બાંગ્લા ટીમના આતંકી નેતા જસીમુદ્દીન રહેમાનીને મુક્ત કરવાનો નિર્ણય એ વિશ્વાસ ઘાત સમાન છે. એના પગલે મહિલાઓ સામે થયેલી હિંસાની ઘટનાઓમાં પણ વધારો થયો છે – જેમ કે મહિલાઓને ફૂટબોલ રમવાથી રોકવી, શાળાઓમાં તોડફોડ, તથા યુનિવર્સિટીઓમાં યૌન શોષણના કિસ્સાઓ, જેનો કાયદેસર અને ન્યાયસંગત નિરાકરણ પણ જોવા મળતું નથી.
આ તમામ ઘટનાઓ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન સાથે તુલનાત્મક છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન હેઠળ મહિલાઓના શિક્ષણ, નોકરી, અવાજ અને અવગમન પર જે દુર્લક્ષનીય અને ક્રૂર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે – જેમ કે છઠ્ઠા ધોરણથી આગળના શિક્ષણ પર પ્રતિબંધ, જાહેર સ્થળે પ્રવેશ પર મનાઈ, માસ્ક અને બુરખા ફરજિયાત, જાહેરમાં અવાજ ન આવે એ માટેના નિયમો, NGO અને યુએનના મિશનમાં કામ કરવા પર પ્રતિબંધ વગેરે – એ તમામ પગલાંનું અનુસરણ હવે બાંગ્લાદેશમાં પણ થતું નજરે પડે છે.
બાંગ્લાદેશ માટે વધુ ચિંતાજનક એ છે કે તેની ધર્મનિરપેક્ષતા પહેલાથી જ નાજુક છે. વિદ્યાર્થીઓના આંદોલનના નામે હિન્દુઓ વિરુદ્ધ હિંસાત્મક પ્રવૃત્તિઓ, હિન્દુ મહિલાઓ પરના અત્યાચાર અને સામાજિક ભેદભાવ એ દર્શાવે છે કે દેશમાં એક ધાર્મિક જૂથ માટે સુરક્ષા અને માનવાધિકારના આધારભૂત તત્વો ઓગળી રહ્યા છે. અને હવે જો યુનુસ સરકાર શરિયા આધારિત કાનૂની વ્યવસ્થાને વધુ સક્રિય રીતે પ્રોત્સાહન આપતી રહેશે તો માત્ર મહિલાઓ નહીં, પણ સમગ્ર લોકશાહી તંત્ર અને અલ્પસંખ્યકો પણ દમનનો ભોગ બની શકે છે.
આ પરિસ્થિતિ એ સિગ્નલ આપે છે કે જો બાંગ્લાદેશ સમયસર જાગશે નહીં, તો તેની ઓળખ એક આધુનિક, ધર્મનિરપેક્ષ અને લોકશાહી દેશ તરીકે ખોરવાઈ શકે છે અને તે અફઘાનિસ્તાનના માર્ગે આગળ વધવા લાગશે – જ્યાં શાસન નહીં, પણ શરિયા નિયમો પ્રાથમિક હોતાં હશે, અને મહિલાઓના અધિકારો કાગળ પર તો હોઈ શકે, પણ જીવનમાં નહીં.