કોલકત્તા હાઇકોર્ટ દ્વારા 13 નવેમ્બરે આપવામાં આવેલો નિર્ણય પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો ફેરફાર લાવનાર પુરાવો બની રહ્યો છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય મુકુલ રોયને કોર્ટએ દલબદલ વિરોધી કાયદા હેઠળ તાત્કાલિક અસરથી પશ્ચિમ બંગાળ વિધાનસભાની સદસ્યતાથી ગેરલાયક ઠેરવી દીધા છે. આ નિર્ણય સાથે જ તેમની કૃષ્ણનગર ઉત્તર બેઠક ખાલી થઈ જાય છે, જેથી હવે આ બેઠકે પેટાચૂંટણી યોજાવાની પૂરી શક્યતા છે. જસ્ટિસ દેબાંગ્સુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ શબ્બર રશીદીની ડિવિઝન બેન્ચે વિધાનસભા અધ્યક્ષ બિમન બેનર્જી દ્વારા અગાઉ આપવામાં આવેલો નિર્ણય રદ કર્યો છે, જેમાં અધ્યક્ષે મુકુલ રોયની ગેરલાયકાત માટે દાખલ અરજીને નકારી કાઢી હતી.
આ કેસની શરૂઆત 2021ની વિધાનસભા ચૂંટણી બાદ થઈ હતી. મુકુલ રોય તે વખતે ભાજપની ટિકિટ પર કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી જીત મેળવીને ધારાસભ્ય બન્યા હતા, પરંતુ ચૂંટણી બાદ માત્ર થોડા મહિનામાં જ તેઓ ફરીથી ટીએમસીમાં જોડાઈ ગયા. ઑગસ્ટ 2021માં મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીની હાજરીમાં આ પુનરાગમન કાર્યક્રમ યોજાયો હતો. ભાજપે આ પગલાને દલબદલ વિરોધી કાયદાનું ઉલ્લંઘન ગણાવીને વિધાનસભા અધ્યક્ષને અરજી કરી હતી. તેમ છતાં અધ્યક્ષે અરજી નામંજૂર કરી મુકુલ રોયનું સભ્યપદ યથાવત રાખ્યું હતું.
આ નિર્ણયને પડકારતાં ભાજપે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે બંધારણના દસમા શેડ્યૂલ હેઠળ દલબદલનો મામલો ગંભીર છે અને આવા કેસોમાં વિલંબ કરવો બંધારણીય ફરજનો ભંગ ગણાય. મુકુલ રોયે ભાજપની ટિકિટ પર જીત્યા બાદ ટીએમસીમાં જોડાવું સ્પષ્ટ રીતે દલબદલ વિરોધી કાયદાનું ઉલ્લંઘન છે. તેથી અધ્યક્ષનો નિર્ણય રદ કરાઈ અને મુકુલ રોયને તાત્કાલિક ગેરલાયક ઠેરવવામાં આવ્યા. આ સાથે કૃષ્ણનગર ઉત્તર બેઠક હવે ખાલી થઈ છે અને આગામ સમયમાં અહીં પેટાચૂંટણી યોજાવાની સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel