વેરાવળની ભાવના સોસાયટી ખાતે સતીમા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે અનોખા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી અવિરત ચાલુ છે. ખાસ વાત એ છે કે, આ યુવાનો આજના સમયમાં જોવા મળતા પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ) કે ભવ્ય મૂર્તિઓના બદલે પર્યાવરણને અનુકૂળ રીતે ગણપતિ તૈયાર કરે છે. આ વર્ષે ગ્રુપના 20 જેટલા યુવાનો મળીને આશરે 10થી 15 દિવસ મહેનત કરી અને 3,500 જેટલી ગોલ્ડન ચોકલેટ, થર્મોકોલ તથા જરીનો ઉપયોગ કરીને આકર્ષક ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવી છે. મૂર્તિની સ્થાપના બાદ 5 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા, આરતી અને સેવા કરવામાં આવે છે.
ગણેશોત્સવ દરમ્યાન શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો આ અનોખા ગણપતિના દર્શન કરવા ઉમટી પડે છે. સવાર અને સાંજની આરતી દરમિયાન સ્થાનિકો ભેગા થઈને સામૂહિક ભક્તિ કરે છે, જેના કારણે સમાજમાં એકતા અને ધાર્મિક ભાવના વધુ મજબૂત બને છે. પાંચમા દિવસે પરંપરાગત વિધિ સાથે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.
ગ્રુપના સભ્ય સતીશ સિંધવાના જણાવ્યા મુજબ, આજના આધુનિક યુગમાં જ્યાં પર્યાવરણને નુકસાન કરતી પીઓપીની મૂર્તિઓનો વ્યાપ વધી રહ્યો છે, ત્યાં તેમના ગ્રુપે અલગ રસ્તો અપનાવ્યો છે. દર વર્ષે જુદી જુદી થીમ સાથે ઈકો-ફ્રેન્ડલી ગણપતિ બનાવી સ્થાપના કરવાનો હેતુ એ છે કે યુવાનો ભક્તિભાવ સાથે પર્યાવરણની સંભાળ પણ રાખે. અગાઉ પણ લોલીપોપ, ડ્રાયફ્રૂટ, ચોકલેટ અને બિસ્કિટ જેવી ચીજોનો ઉપયોગ કરીને અનોખા ગણપતિ બનાવવામાં આવ્યા છે. આ રીતે ગણેશોત્સવની ઉજવણી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક અને પર્યાવરણીય સંદેશ આપતી બની રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel