યુકેના લેસ્ટરમાં ફરી એકવાર હિંદુઓને નિશાન બનાવવા અને હિંદુવિરોધી વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થયો છે. ગણેશ ચતુર્થીની શોભાયાત્રા દરમિયાન ફરકાવવામાં આવેલા ભગવા ધ્વજને લઈને મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન (MCB)એ વાંધો ઉઠાવ્યો છે. ગુરુવાર, 28 ઑગસ્ટ 2025ના રોજ બહાર પાડેલા નિવેદનમાં MCBએ ભગવા ધ્વજના પ્રદર્શનને સીધો “હિંદુ ઉગ્રવાદ” સાથે જોડ્યો હતો અને સ્થાનિક વહીવટીતંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ નિવેદન બાદ હિંદુ સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે ભગવો ધ્વજ હિંદુ ધર્મમાં સદીઓથી પૂજ્ય માનવામાં આવે છે અને તે ધર્મ, શૌર્ય, ત્યાગ, શાંતિ અને સત્યનું પ્રતીક માનવામાં આવે છે.
હિંદુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપ (HCOG), જે લેસ્ટરના 40 હિંદુ સંગઠનોનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે આ નિવેદનનો સખત વિરોધ કર્યો છે. HCOGના કન્વીનર વિનોદ પોપટે સ્પષ્ટ જણાવ્યું કે ભગવા ધ્વજને કટ્ટરવાદ સાથે જોડવાનો પ્રયાસ માત્ર હિંદુઓના ધાર્મિક પ્રતીકનો અપમાન જ નથી, પરંતુ તે સ્થાનિક સમુદાયોમાં નફરત અને વિભાજન ફેલાવવાનો પ્રયત્ન છે. તેમણે કહ્યું કે હિંદુ સમુદાય હંમેશાં શાંતિ, સહઅસ્તિત્વ અને પરસ્પર આદરના મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે, અને આવા આક્ષેપો સમાજમાં અવિશ્વાસ વધારવા સિવાય બીજું કંઈ નથી કરતા.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને હિંદુ સંગઠનો દ્વારા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંગઠનોનું કહેવું છે કે આવા આરોપો લેસ્ટરમાં ફરીથી તણાવ ઊભો કરી શકે છે, જેમ 2022માં હિંદુવિરોધી હિંસા ફાટી નીકળી હતી અને હિંદુઓને ઇસ્લામી કટ્ટર તત્વોએ ટાર્ગેટ કર્યા હતા. તે સમયે પણ શહેરમાં અસ્થિરતા ફેલાઈ હતી અને અનેક હિંદુ પરિવારો પર હુમલા થયા હતા.
આ વખતે ફરી સમાન પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે હિંદુ સંગઠનો સાવચેત છે અને તેઓએ સ્થાનિક પોલીસ તથા વહીવટીતંત્રને આ મામલે ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માગ કરી છે. હિંદુ સમુદાયે સ્પષ્ટ કર્યું છે કે તેમની ધાર્મિક ઓળખને ઉગ્રવાદ સાથે જોડવાની કોશિશ અસહ્ય છે અને તેનો સખત વિરોધ ચાલુ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel