બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો દ્વારા ભારત અને હિન્દુઓ સામે નફરત ફેલાવવાના પ્રયાસો અને સિલિગુડી કોરિડોરને લઈને આપવામાં આવતી ખુલ્લી ધમકીઓ સામે નાગાલેન્ડના રમત-ગમત મંત્રી તથા ભાજપના નેતા તેમજેન ઈમના અલોંગે કડક અને પ્રતિકાત્મક શબ્દોમાં વળતો જવાબ આપ્યો છે. તેમણે મહાકાવ્ય મહાભારતના વિર યોધ્ધા ઘટોત્કચ અને હિડિંબાનું ઉદાહરણ આપતાં સ્પષ્ટ ચેતવણી આપી કે ભારતની સહનશીલતાને કમજોરી માનવી મોટી ભૂલ સાબિત થશે. હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અને ભારતના વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સિલિગુડી કોરિડોર, જેને ‘ચિકન નેક’ તરીકે ઓળખવામાં આવે છે, તેને કાપી નાખવાની ધમકીઓ પર પ્રતિક્રિયા આપતાં તેમજેને કહ્યું કે પૂર્વોત્તર ભારતને દેશથી અલગ કરવાની કે ‘ગ્રેટર બાંગ્લાદેશ’નું સ્વપ્ન જોનારાઓએ હકીકત સમજી લેવી જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે “ચિકન નેક” કોઈ ભારતીય સંકલ્પના નથી, પરંતુ એક મીડિયા શબ્દ છે; પૂર્વોત્તર ભારત ભારત સાથે મજબૂતીથી જોડાયેલું છે અને કોઈ પણ તાકાત તેને અલગ કરી શકતી નથી.
તેમજેન ઈમના અલોંગે બાંગ્લાદેશને 1971ની ઇતિહાસિક હકીકત પણ યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશને સ્વતંત્રતા ભારતના બલિદાન અને સહાયથી મળી હતી, પરંતુ કેટલાક કટ્ટરપંથી તત્વો આ સત્ય બહુ જલ્દી ભૂલી ગયા છે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે “કેટલાક લોકોએ હજી અમારા ઘટોત્કચ અને હિડિંબા જોયા નથી. અહીં આવી જાઓ, તમને બતાવી દઈશું. ગળા કાપવાની વાત અમને શીખવવાની જરૂર નથી—આ હકીકત અમે સારી રીતે જાણીએ છીએ.” તેમના આ નિવેદનને પૂર્વોત્તર ભારતની સુરક્ષા અને રાષ્ટ્રીય અખંડિતતાને લઈને ભારતની દૃઢ પ્રતિબદ્ધતાનો સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સિલિગુડી કોરિડોર ઉત્તર બંગાળમાં આવેલો લગભગ 22 કિલોમીટર પહોળો સંકુચિત ભૂભાગ છે, જે ભારતને તેના સાત પૂર્વોત્તર રાજ્યો સાથે જોડે છે. આ વિસ્તાર નેપાળ, ભૂતાન, તિબેટ-ચીન અને બાંગ્લાદેશની સરહદોને સ્પર્શે છે અને ભારત માટે અત્યંત વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. તાજેતરમાં બાંગ્લાદેશના હસનત અબ્દુલ્લા જેવા કટ્ટરપંથી વિદ્યાર્થી નેતાઓ દ્વારા આ કોરિડોરને ભારતથી અલગ કરવાની ખુલ્લી ધમકીઓ અને પૂર્વોત્તરના ઉગ્રવાદીઓને બાંગ્લાદેશમાં આશ્રય આપવાની વાતો સામે આવી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ભારત તરફથી આપવામાં આવેલી કડક પ્રતિક્રિયા અને તેમજેન ઈમના અલોંગના નિવેદનોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત પોતાની સરહદો, સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન કરવા તૈયાર નથી અને કટ્ટરવાદીઓને સમયસર સુધરી જવાની ચેતવણી આપી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel