મહારાષ્ટ્રના નાશિકમાં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO સેન્ટરમાં બનેલી જાતીય સતામણી અને ધાર્મિક રૂપાંતરણની ઘટના હવે દેશના સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચી છે. આ મામલે વરિષ્ઠ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં આ ઘટનાને માત્ર એક સામાન્ય ગુનો નહીં પરંતુ દેશની એકતા અને અખંડિતતા માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે.
“સિસ્ટેમેટિક કોન્સ્પિરસી”નો આક્ષેપ
અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ પ્રકારની ઘટનાઓ એકલદોકલ નથી, પરંતુ એક સુનિયોજિત અને વ્યવસ્થિત નેટવર્ક દ્વારા ચલાવવામાં આવતી ‘સિસ્ટેમેટિક કોન્સ્પિરસી’ છે. તેમાં છેતરપિંડી, ભય, જબરદસ્તી અને આર્થિક પ્રલોભનોનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવવામાં આવે છે. અરજીમાં આ પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સીધી રીતે જોડવામાં આવી છે.
વિદેશી ફંડિંગની આશંકા, આતંકવાદી કૃત્ય જાહેર કરવાની માંગ
અશ્વિની ઉપાધ્યાયે અરજીમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે આવા સંગઠિત ધર્માંતરણ પાછળ વિદેશી એજન્સીઓનું ફંડિંગ હોઈ શકે છે. તેમનો દાવો છે કે આ પ્રવૃત્તિઓનો હેતુ ભારતની ડેમોગ્રાફીમાં ફેરફાર લાવીને દેશની એકતા અને અખંડિતતાને નબળી પાડવાનો છે. તેથી બળજબરીપૂર્વકના ધર્માંતરણને માત્ર ગુનો નહીં પરંતુ “આતંકવાદી કૃત્ય” જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અને તેની તપાસ આતંકવાદ વિરોધી કાયદાઓ હેઠળ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.
ધાર્મિક સ્વતંત્રતા પર બંધારણીય મર્યાદા
અરજીમાં ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલા ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની મર્યાદાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે આ અધિકાર સંપૂર્ણપણે અનિયમિત નથી, પરંતુ તે જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને નાગરિકોના આરોગ્યના હિતમાં મર્યાદિત છે. 2022માં સુપ્રીમ કોર્ટએ આ મુદ્દાને “ખૂબ જ ગંભીર” ગણાવ્યો હતો, તેનો હવાલો પણ અરજીમાં આપવામાં આવ્યો છે.
વિશેષ અદાલતોની સ્થાપનાની માંગ
અરજીમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે આવા સંવેદનશીલ કેસોના ઝડપી નિરાકરણ માટે દેશભરમાં વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવે. જેથી તપાસ અને ટ્રાયલ પ્રક્રિયામાં વિલંબ ન થાય અને પીડિતોને સમયસર ન્યાય મળી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel