મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક આર્થિક કટોકટીની વચ્ચે ભારતની સંસદમાં બજેટ સત્ર ભારે ગરમાયું છે. લોકસભામાં સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ વચ્ચે તીખી બોલાચાલી જોવા મળી હતી. આ મુદ્દે સંસદમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
“પીએમ મોદીનું ભારત ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરે”
ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેમને ગૃહમાં વારંવાર બોલવાથી રોકવામાં આવે છે અને વડાપ્રધાન સમાધાનવાદી છે. આ નિવેદન પર રવિશંકર પ્રસાદે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું, “નેવર… નેવર… નેવર… પીએમ મોદીનું ભારત ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરે.” તેમણે વિપક્ષ પર પાયાની સમજણના અભાવનો પણ આરોપ લગાવ્યો હતો.
સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ
લોકસભાના સ્પીકર ઓમ બિરલાને હટાવવા માટે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આશરે 10 કલાકની ચર્ચા થવાની છે. આઝાદી પછી બીજી વખત સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. ચર્ચાની શરૂઆત કરતા રવિશંકર પ્રસાદે ઇમરજન્સીના દિવસોની યાદ અપાવી અને જણાવ્યું કે સ્પીકરનું પદ અત્યંત ગરિમામય છે અને તેને રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવો યોગ્ય નથી.
ગૃહમંત્રી અમિત શાહ કરી શકે છે સંબોધન
આ મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન અમિત શાહ પણ સંસદમાં સંબોધન કરી શકે છે. ચર્ચા પૂર્ણ થયા બાદ આ પ્રસ્તાવ પર વોટિંગ થવાની સંભાવના છે, જેને કારણે સંસદની કાર્યવાહી પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
રાજ્યસભામાં રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાનો મુદ્દો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલએ રશિયામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ વધતી જઈ રહી છે, જે ચિંતાજનક છે.
શક્તિસિંહ ગોહિલે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે એરલાઇન્સ કંપનીઓ ટિકિટના ભાવમાં ભારે વધારો કરીને મુસાફરો પાસેથી વધુ પૈસા વસૂલી રહી છે.
સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ જોરદાર હંગામો કર્યો હતો. વિરોધના કારણે પીઠાસીન અધિકારી Dilip Saikiaએ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.
ગેસ સિલિન્ડરની અછત મુદ્દે વિરોધ પ્રદર્શન
સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના વિપક્ષી સાંસદોએ સંસદના મુખ્ય દ્વાર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાયમાં ઘટાડો થયો હોવાનો આરોપ લગાવતા સાંસદોએ પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક સપ્લાય શરૂ કરવાની માંગ કરી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel