સુપ્રીમ કોર્ટે બુધવારે બિહારમાં ચૂંટણી પંચ દ્વારા અમલમાં મુકાયેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયાને પડકારતી અરજી પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી. આ કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે કરી, જેમાં અરજદારના વકીલ અભિષેક મનુ સિંધવીએ ચૂંટણી પંચની નવી દસ્તાવેજી નીતિને લઈ અનેક વાંધાઓ રજૂ કર્યા. સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ સ્પષ્ટ કર્યું કે ઓળખ માટેના દસ્તાવેજોની સંખ્યા 7 થી વધારીને 11 કરવી એક પ્રો-વોટર પગલું છે, કારણ કે હવે લોકો પાસે ઓળખ પુરવાર કરવા માટે વધુ વિકલ્પ ઉપલબ્ધ થશે. તેમણે ભાર મૂક્યો કે આ પ્રો-વોટર પહેલ છે, એક્સક્લુઝનરી નથી. જસ્ટિસ સૂર્યકાંતે પણ જણાવ્યું કે જો તમામ 11 દસ્તાવેજ ફરજિયાત કરવામાં આવે તો તે એન્ટી-વોટર ગણાશે, પરંતુ જો માત્ર કોઈ એક માન્ય દસ્તાવેજ રજૂ કરવાની છૂટછાટ આપવામાં આવે તો તે યોગ્ય છે.
વકીલ મનુ સિંધવીએ આ દલીલ સાથે સહમત થવા છતાં જણાવ્યું કે આધાર કાર્ડનો સમાવેશ ન થવો એક મોટો અભાવ છે, કારણ કે આધાર સૌથી વધારે કવરેજ ધરાવતો દસ્તાવેજ છે. તેમ જ તેમણે પાણી, વીજળી, ગેસના બિલ અને રહેણાંક પ્રમાણપત્ર જેવા સામાન્ય દસ્તાવેજોનો સમાવેશ ન કરવો ગરીબ અને ગ્રામિણ વોટર્સ માટે મુશ્કેલી ઉભી કરે છે. સિંધવીએ એ પણ જણાવ્યું કે પાસપોર્ટ ધરાવતા લોકોની સંખ્યા બિહારમાં 1-2%થી ઓછી છે અને અન્ય મોટા ભાગના દસ્તાવેજોનું કવરેજ 0-3% જેટલું છે. જો કોઈ પાસે જમીન નથી, તો જમીન સંબંધિત દસ્તાવેજો આપમેળે બાકાત રહેશે, અને બિહારના મોટા ભાગના લોકો પાસે નિવાસ પ્રમાણપત્ર પણ નથી.
સિંધવીએ વધુમાં દલીલ કરી કે ચૂંટણીના થોડા મહિના પહેલાં આવી પ્રક્રિયા શરૂ કરવી મતદાતાઓને પ્રભાવિત કરવાની કોશિશ સમાન છે. તેમણે સૂચવ્યું કે SIR ડિસેમ્બરથી શરૂ કરીને એક વર્ષમાં પૂર્ણ થવી જોઈએ જેથી યોગ્ય તૈયારી અને અમલ શક્ય બને. તેમણે ચૂંટણી પંચના દસ્તાવેજોની યાદીને “જુગારના પાના” સાથે સરખાવી અને કહ્યું કે આ યાદી વીજળી, પાણીના બિલ અથવા આધાર કાર્ડ જેવી સરળ ઉપલબ્ધ ઓળખને બદલી શકતી નથી.
સુનાવણી દરમિયાન નાગરિકતા પ્રમાણપત્રના મુદ્દે સિંધવીએ ચૂંટણી પંચ પર 180 ડિગ્રીનો યુ-ટર્ન લેવાનો આરોપ મૂક્યો. તેમણે પ્રશ્ન કર્યો કે કેવી રીતે એટલી ટૂંકી અવધિમાં નાગરિકતાની પુષ્ટિ માટેનો જ્યુડિશિયલ પ્રોસેસ પૂર્ણ થઈ શકે. જસ્ટિસ બાગચીએ આ મુદ્દે કહ્યું કે સરહદી વિસ્તારોમાં રહેતા ઘણા લોકો પાસે પાસપોર્ટ હોય છે, જ્યારે પંજાબમાં પણ આવી પરિસ્થિતિ જોવા મળે છે. સિંધવીએ મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ માટેના 2005-2025ના સમયગાળા પર પ્રશ્ન ઊભો કર્યો અને કહ્યું કે આ સમયગાળામાં પાસ કરનારાઓ બધા મતદાતા હોવા જરૂરી નથી.
કોર્ટએ બિહારમાં 13 કરોડ કાયમી રહેણાંક પ્રમાણપત્ર જાહેર કરવાનો આંકડો કેવી રીતે આવ્યો તે અંગે પણ સવાલ કર્યો, કારણ કે આ રાજ્યની કુલ જનસંખ્યા કરતા વધારે છે. ચૂંટણી પંચે જણાવ્યું કે આ આંકડા અન્ય રાજ્યો અને સત્તાવાળાઓ પાસેથી મેળવેલા ઉદાહરણ છે. પરંતુ સિંધવીએ વાંધો ઉઠાવ્યો કે ત્રણ દસ્તાવેજ માટે સોર્સ ઉપલબ્ધ નથી અને બે દસ્તાવેજ બિહારમાં લાગુ પણ નથી. તેમણે ફરીથી ભારપૂર્વક કહ્યું કે મુખ્ય સમસ્યા પ્રક્રિયાની ટૂંકી સમયમર્યાદાની છે, કારણ કે બે મહિનામાં તેને લાગુ કરવું વ્યવહારિક રીતે મુશ્કેલ છે.
આ રીતે, સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન આ મામલો માત્ર દસ્તાવેજોની યાદી પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ તેમાં ગ્રામિણ, ગરીબ અને પ્રભાવિત વિસ્તારોના મતદાતાઓની પ્રાપ્યતા, પ્રક્રિયાની સમયમર્યાદા અને ચૂંટણી પહેલા તેની અસર જેવા વ્યાપક મુદ્દાઓ પણ ઉઠ્યા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel