મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં નિધન થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઘટના અંગે એક વિસ્તૃત પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં વિમાન ક્રેશ થવાની પૂર્વે થયેલા સમગ્ર ઘટનાક્રમનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું છે કે દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને લેન્ડિંગ દરમિયાન અચાનક ટેકનિકલ અથવા પરિસ્થિતિજન્ય સમસ્યા ઊભી થઈ હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ માહિતી આપતા જણાવ્યું કે પ્રાથમિક તપાસ અનુસાર સવારે 8:48 વાગ્યે લેન્ડિંગ સમયે વિઝિબિલિટી ખૂબ ઓછી હતી. DGCA અને AAIBની સંયુક્ત તપાસ ટીમ દુર્ઘટનાના ચોક્કસ કારણો શોધી રહી છે. લેન્ડિંગ પહેલાં ATC બારામતી સાથે સંપર્ક દરમિયાન પાઇલટે જણાવ્યું હતું કે રનવે સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી. વિઝિબિલિટી ન હોવાને કારણે વિમાન હવામાં ચક્કર લગાવી રહ્યું હતું અને બે વખત લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, ત્રીજા પ્રયાસ દરમિયાન પાઇલટ તરફથી થોડા સમય સુધી ATCના સવાલનો કોઈ જવાબ મળ્યો નહોતો. બાદમાં પાઇલટે રનવે સ્પષ્ટ દેખાઈ રહ્યો હોવાની માહિતી આપી હતી, જેના આધારે ATC દ્વારા લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી. પરંતુ તે પછી અચાનક કોઈ ગંભીર સમસ્યા ઊભી થઈ અને વિમાન ક્રેશ થઈ ગયું. સમગ્ર ઘટનાક્રમની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રાથમિક રિપોર્ટ મુજબ, 28 જાન્યુઆરી 2026ના રોજ સવારે 8:18 વાગ્યે વિમાન (VI-SSK) એ બારામતી એરપોર્ટ સાથે પ્રથમ વખત સંપર્ક કર્યો હતો. તે સમયે વિમાન એરપોર્ટથી અંદાજે 30 નોટિકલ માઈલ દૂર હતું. પાઇલટે હવામાનની સ્થિતિ અને વિઝિબિલિટી વિશે પૂછપરછ કરી હતી, જેમાં તેમને વિઝિબિલિટી માત્ર 3000 મીટર હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પાઇલટે રનવે 11 પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રનવે સ્પષ્ટ દેખાતો ન હોવાથી લેન્ડિંગ રદ કરી વિમાનને ફરી હવામાં ઉડાડવામાં આવ્યું હતું. બાદમાં ફરી લેન્ડિંગની કોશિશ કરવામાં આવી. સવારે 8:43 વાગ્યે પાઇલટે રનવે દેખાઈ રહ્યો હોવાની પુષ્ટિ કરી, જેના પછી એરપોર્ટ સ્ટાફે લેન્ડિંગની મંજૂરી આપી હતી. જોકે, મંજૂરી બાદ પાઇલટ તરફથી કોઈ સંદેશો મળ્યો નહોતો.
માત્ર એક મિનિટ બાદ, એટલે કે 8:44 વાગ્યે, એરપોર્ટ કર્મચારીઓએ રનવે 11ની નજીક ભીષણ આગની જ્વાળાઓ જોઈ હતી. તપાસ દરમિયાન વિમાનનો કાટમાળ રનવેની ડાબી બાજુએ વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો, જે દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં કેપ્ટન સુમિત કપૂર (પાઇલટ-ઇન-કમાન્ડ), કેપ્ટન શામ્ભવી પાઠક (ફર્સ્ટ ઓફિસર), વિદીપ જાધવ (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) અને પિંકી માલી (ફ્લાઈટ એટેન્ડન્ટ)નો સમાવેશ થાય છે.
દુર્ઘટનાના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવાર સાથે ટેલિફોન પર વાત કરી અને તેમને સાંત્વના આપી હતી. સાથે જ નક્કી કરવામાં આવ્યું છે કે અજિત પવારની અંતિમવિધિ 29 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવશે.
ઘટના બાદ પોલીસ અને તપાસ એજન્સીઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ભીષણ આગ અને વિસ્ફોટના કારણે મૃતદેહો ગંભીર રીતે ક્ષતવિક્ષત થઈ ગયા હતા, જેના કારણે ઓળખ કરવી મુશ્કેલ બની હતી. આવી સ્થિતિમાં અજિત પવારની ઓળખ તેમના કપડાં અને ઘડિયાળના આધારે કરવામાં આવી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel