મહારાષ્ટ્રની ચૂંટણીઓ સંબંધિત ભ્રામક ડેટા જાહેર કરવાના આરોપે લોકનીતિ–CSDS (સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ)ના સહ-નિર્દેશક અને જાણીતા ચૂંટણી વિશ્લેષક સંજય કુમાર પર હવે ગંભીર કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે. તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચ્યો હતો. 17 ઑગસ્ટ, 2025ના રોજ તેમણે X (ભૂતપૂર્વ Twitter) પર એક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની રામટેક અને દેવલાલી વિધાનસભા બેઠકોમાં 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે મતદારોની સંખ્યામાં 36–38% જેટલો ઘટાડો નોંધાયો, જ્યારે નાસિક વેસ્ટ અને હિંગણા બેઠકોમાં મતદારોની સંખ્યામાં અનુક્રમે 47.38% અને 43.08% જેટલો વધારો થયો. આ આંકડાઓને આધારે કોંગ્રેસે ચૂંટણી પંચ પર સીધો મતદાર યાદીમાં ગેરરીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેનો ઉપયોગ કરીને “વોટ ચોરી”ના દાવાને મજબૂતી આપી હતી. જોકે, બાદમાં સંજય કુમારે આ પોસ્ટ ડિલીટ કરી અને જાહેર માફી માંગી, સાથે જ જણાવ્યું કે તેમની ટીમે ડેટા ખોટી રીતે રજૂ કર્યો હતો. તેમ છતાં આ પોસ્ટથી રાજકીય ચર્ચામાં ખોટા સંકેતો પ્રસરી ગયા અને ચૂંટણી પંચની વિશ્વસનીયતાને લઈને સવાલો ઊભા થયા.

આ મામલે નાગપુર (રામટેક) અને નાસિકના જિલ્લા ચૂંટણી અધિકારીઓએ ફરિયાદ નોંધાવી, જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા સંજય કુમાર સામે બે અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે. આ કેસોમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 175 (ચૂંટણી સંબંધિત ખોટી માહિતી પ્રસારિત કરવી), કલમ 353(1)(B) (જાહેર શાંતિ ભંગ કરવા જેવા નિવેદનો), કલમ 212 (સરકારી કર્મચારીને ખોટી માહિતી પૂરી પાડવી), કલમ 340(1)(2) (નકલી દસ્તાવેજો/ઈલેક્ટ્રોનિક રેકોર્ડનો ઉપયોગ) અને કલમ 356 (માનહાનિ) હેઠળ ગુના નોંધાયા છે. નાગપુરના (ગ્રામીણ) SP હર્ષ પોદ્દારે ANIને જણાવ્યું કે, “અમે રામટેક મામલતદારની ફરિયાદના આધારે FIR નોંધાવી છે. ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સંજય કુમારને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.” નાસિક જિલ્લા ચૂંટણી કચેરીએ પણ સ્પષ્ટતા કરી હતી કે દેવલાલી બેઠક અંગે કુમારે આપેલા આંકડા સંપૂર્ણ ખોટા છે અને નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ માત્ર ECIની સત્તાવાર વેબસાઇટ પરથી જ માહિતી ચકાસે.
આ સાથે જ, આ મુદ્દો માત્ર કાનૂની નહીં પરંતુ સંશોધન ક્ષેત્રમાં પણ વિવાદાસ્પદ બની ગયો છે. ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ (ICSSR), જે શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત છે અને CSDSને ફંડિંગ પૂરું પાડે છે, તેણે 19 ઑગસ્ટે CSDSને શો-કોઝ નોટિસ જારી કરી. નોટિસમાં આરોપ મૂકાયો કે CSDS દ્વારા ડેટાની હેરાફેરી કરીને ચૂંટણી પંચની પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ થયો છે. ICSSRએ CSDSને સાત દિવસમાં સમગ્ર ખુલાસો કરવા, ડેટાના સ્ત્રોત જાહેર કરવા અને સ્પષ્ટતા આપવા કહ્યું છે, નહીં તો તેમની ગ્રાન્ટ-ઈન-એડ રદ કરવાની ચેતવણી પણ આપી છે. ICSSRએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “CSDSના વરિષ્ઠ હોદ્દા પર રહેલી વ્યક્તિએ ખોટા ડેટાને આધારિત નિવેદનો આપ્યાં, જેને પછી પાછા ખેંચવામાં આવ્યાં. આ ચૂંટણી પંચની પવિત્રતા અને વિશ્વાસને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.”
It has come to the notice of ICSSR that an individual holding responsible position at CSDS, an ICSSR-funded research institute, has made media statements that had to be retracted subsequently citing glitches in data analysis regarding elections in Maharashtra.
Futher, the…
— Indian Council of Social Science Research (ICSSR) (@icssr) August 19, 2025
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધી સહિતના કેટલાક વિરોધી નેતાઓ દ્વારા કરવામાં આવેલા “વોટ ચોરી”ના આરોપો તથ્યહીન છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં આ આરોપોને ફગાવી દીધા હતા અને સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના ભ્રામક દાવા દેશની લોકશાહી પ્રણાલીની વિશ્વસનીયતા પર ઘા કરે છે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ પણ સંજય કુમારની માફીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેમના ખોટા આંકડાઓનો ઉપયોગ રાજકીય દળોએ ચૂંટણી પંચની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કર્યો હતો. આ રીતે, સંજય કુમારની એક ખોટી પોસ્ટને કારણે માત્ર કાનૂની જ નહીં, પરંતુ રાજકીય અને શૈક્ષણિક સ્તરે પણ ગંભીર પરિણામો ઊભા થયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel