વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની અભિનવ પહેલ કરેલી છે. જે અન્વયે પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી રાષ્ટ્રવ્યાપી યોજાઈ હતી. જે અનુસંધાને નડિયાદમાં પણ ધારાસભ્ય પંકજ દેસાઈના પ્રેરક ઉપસ્થિતિમાં યોગીફાર્મ ખાતે ઉક્ત કાર્યક્રમ યોજાયો હતો.
પ્રસંગોચિત ઉદ્બોધનમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે કેટલાક હોશિયાર બાળકો ભણવામાં તેજસ્વી હોય અને બોર્ડ પરીક્ષા આવે તે સમયગાળા દરમિયાન તનાવમાં આવી જાય છે. જે તૈયારી કરી હોય તે ભૂલી જાય અને છેલ્લે નિષ્ફળ રહેતા હોય છે.તેવા સમયે આદરણીય પ્રધાનમંત્રીનું પ્રેરક ઉદબોધન અને માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે સંજીવની સમાન પુરવાર થયું છે. ઘણા વર્ષોથી દિલ્હીની અંદર બોર્ડ પરીક્ષા પૂર્વ બાળકોની સામે જેટલા બી પ્રશ્નો આવે છે તેનું હકારાત્મક નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ આત્મવિશ્વાસ મજબૂત હોય તો સફળતા પ્રાપ્ત થાય છે. તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ વેળાએ ધારાસભ્યએ આગામી સમયમાં લેવાનાર પરીક્ષા વિશે જણાવતા કહ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું સુચારુ અમલીકરણ અને આયોજન થાય છે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પારદર્શક અને ટેકનોલોજીના માધ્યમ થકી પરીક્ષા કેન્દ્રો સુધી શીલ બંધ કવરમાં પેપરો પહોંચે છે. શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાત બોર્ડ પરીક્ષા લેવાય છે તેના માટે તેમનો ભગીરથ પુરુષાર્થ રહેલો છે, તેમ ધારાસભ્ય સરહાના કરી હતી.
આ પ્રસંગે યોગીફાર્મના કોઠારી સ્વામી સર્વ મંગલ સ્વામી, સ્કૂલ બોર્ડના ચેરમેન અતુલભાઈ પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી કલ્પેશભાઈ રાવલ સહીત જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.