કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણ સામે જિલ્લા તંત્રએ મોટી બુલડોઝર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિભાગ દ્વારા અસમાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની મિલકતોની ચકાસણી માટે આપવામાં આવેલી યાદી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મળેલી સૂચનાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન લેન્ડ ગ્રેબિંગ અને ગેરકાયદે ખનનના આરોપી દાઉદ ભચુ કકલ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાનું સામે આવતા તંત્રએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
સરવે નંબર 155/પૈકી 15ની જમીન પર ગેરકાયદે કબજો
માહિતી મુજબ અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં આવેલી સરવે નંબર 155/પૈકી 15ની સરકારી જમીન પર દાઉદ ભચુ કકલ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. આ મામલે મામલતદાર કચેરી દ્વારા ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ નોટિસ પાઠવીને જમીનના માલિકીના પુરાવા રજૂ કરવા તક આપવામાં આવી હતી.
પરંતુ આરોપી તરફથી કોઈ માન્ય દસ્તાવેજ કે માલિકીના પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. જેના કારણે તંત્રએ ગેરકાયદે દબાણને માન્ય રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
₹3.34 લાખનો દંડ છતાં દબાણ ન હટાવાયું
જમીન પરના ગેરકાયદે કબજાને લઈને તંત્ર દ્વારા ₹3,34,934નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ બે દિવસની અંદર સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
તેમ છતાં આરોપી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું નહોતું. ત્યારબાદ ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ વધુ એક નોટિસ આપવામાં આવી હતી. પરંતુ આ નોટિસનો પણ કોઈ અમલ ન થતા તંત્રએ સ્થળ પર સીધી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ બુલડોઝર એક્શન
6 જૂન, 2026ના રોજ કચ્છ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને અંજારના નાયબ કલેક્ટર એસ. જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહેસૂલી વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મામલતદાર, સર્કલ ઓફિસર અને અન્ય અધિકારીઓની હાજરીમાં બુલડોઝર મારફતે ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
5,184 ચોરસ મીટર જમીન કરાઈ દબાણમુક્ત
તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કાર્યવાહી દરમિયાન આશરે 125 ચોરસ મીટર રહેણાંક પ્રકારનું અને 5,059 ચોરસ મીટર વાણિજ્યિક પ્રકારનું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આ રીતે કુલ 5,184 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. જંત્રી દર મુજબ આ જમીનની અંદાજિત કિંમત ₹16,77,484 હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
લેન્ડ ગ્રેબિંગ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ
રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા સરકારી જમીનો પરના ગેરકાયદે કબજાઓ સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને લેન્ડ ગ્રેબિંગ, ગેરકાયદે ખનન અને અસમાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોની મિલકતોની ચકાસણી કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સિનુગ્રા ગામમાં થયેલી આ કાર્યવાહી પણ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અને લેન્ડ ગ્રેબિંગ સંબંધિત સૂચનાઓના આધારે હાથ ધરવામાં આવી હોવાનું સરકારી નોંધમાં જણાવવામાં આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel