વલસાડ જિલ્લાના ઉમરગામ તથા મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઈ જઈ ધર્માંતર અને નિકાહ કરાવવાના કથિત વધતા કેસોને લઈને સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મુદ્દે હવે સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.
સોમવારે વાપી, સરીગામ, સંજાણ, ઉમરગામ તેમજ મહારાષ્ટ્રના દહાણુ અને ઘોલવડ વિસ્તારના હિન્દુ-જૈન સંગઠનો અને સમાજના આગેવાનો ભેગા મળ્યા હતા. તેમણે વલસાડ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ રજૂઆત બાદ હવે 10 જૂનના રોજ દહાણુ સહિતના વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. સાથે જ ગુજરાતના વાપીથી લઈને ઉમરગામ તાલુકા સુધીના વિવિધ હિન્દુ અને જૈન સંગઠનો દહાણુ પહોંચી વિરોધ પ્રદર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે, આશરે 10 દિવસ અગાઉ મહારાષ્ટ્રના સાંસદ ડૉ. હેમંત સાવરાએ પાલઘર જિલ્લા પોલીસવડાને પત્ર લખી આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે ઉમરગામ અને દહાણુ વિસ્તારમાં કેટલીક યુવતીઓને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને વિદેશ લઈ જઈ લગ્ન તેમજ ધર્માંતર કરાવવાના બનાવો સામે આવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં ગુજરાત જેવા કાયદાની માંગ
ગુજરાતમાં પ્રેમલગ્ન માટે માતા-પિતાની સંમતિ અથવા કોર્ટ મેરેજ પહેલાં વાલીઓને જાણ કરવાના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં હાલમાં આવો કોઈ વિશેષ કાયદો અમલમાં નથી. આ સ્થિતિનો લાભ લઈને કેટલાક યુગલો મહારાષ્ટ્રમાં જઈ લગ્ન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ મુદ્દાને ધ્યાનમાં રાખીને હવે મહારાષ્ટ્રમાં પણ ગુજરાત જેવા કડક કાયદાની માંગ ઉઠી છે. વિવિધ સામાજિક સંગઠનો અને આગેવાનોનું માનવું છે કે યુવતીઓની સુરક્ષા અને કથિત છેતરપિંડીના બનાવોને રોકવા માટે રાજ્ય સરકારે કડક કાનૂની વ્યવસ્થા લાવવી જોઈએ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel