મૃત વ્યક્તિના આધારકાર્ડનો દુરુપયોગ ન થાય અને આધાર ડેટામાં ચોકસાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તમામ રાજ્યોના સચિવોને પત્ર લખી સૂચના આપવામાં આવી છે કે, 100 વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓના આધારકાર્ડનું ઘર જઈને વેરિફિકેશન કરવું જરૂરી છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે જો આવી ઉંમરના કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય, અને તેમનું આધારકાર્ડ હજુ પણ સક્રિય હોય, તો તેના દુરુપયોગની શક્યતાઓ ટાળી શકાય.
આ પ્રક્રિયા હેઠળ અધિકૃત કર્મચારીઓ શહેરી વિસ્તારોમાં કોર્પોરેશન મારફતે અને ગ્રામ્ય વિસ્તારોમાં કલેક્ટર કચેરીના માધ્યમથી 100 વર્ષથી વધુ ઉંમરના લોકોના સરનામાં જઈને તેમની હાજરીની પુષ્ટિ કરશે. જો વ્યક્તિનિધન પામ્યા હશે, તો તેમના પરિવારજનો પાસેથી ડેથ સર્ટિફિકેટ મેળવવામાં આવશે અને તેને UIDAIની વેબસાઇટ પર ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. તેના આધારે સંબંધિત આધારકાર્ડ રદ્દ (deactivate) કરવામાં આવશે અને વ્યક્તિના બાયોમેટ્રિક ડેટા (ફિંગરપ્રિન્ટ, આયરિસ, વગેરે) લોક થઈ જશે જેથી દુરુપયોગ અટકાવી શકાય.
સત્તાવાર માહિતી અનુસાર, હવે દેશભરમાં આવતા સમયમાં આ વેરિફિકેશન પ્રક્રિયા તબક્કાવાર રીતે શહેરો, તાલુકાઓ અને ગામોમાં શરૂ થશે. આ માટે UIDAI દ્વારા રાજ્ય સરકારોને જરૂરિયાત મુજબ ડેટા પણ આપવામાં આવ્યો છે, જેમાં 100 વર્ષથી વધુ ઉંમરના એક્ટિવ આધારકાર્ડ ધારકોના નામ અને સરનામાની માહિતી હોય છે. જો તે વ્યક્તિ જે સરનામે દર્શાવવામાં આવ્યા છે ત્યાં ન રહેતા હોય, તો તેના વિશે પણ નોંધ લેવામાં આવશે.
આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી ઓનલાઈન સેવા પણ શરૂ કરવામાં આવી છે, જેના માધ્યમથી મૃત્યુના કેસમાં કોઈ પણ પરિવારજનો ઓનલાઈન આધારકાર્ડ રદ્દ કરવાની પ્રક્રિયા કરી શકે છે. આ માટે તેમની પાસે મૃતકનું આધારકાર્ડ નંબર અને આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર હોવો આવશ્યક છે. OTP મળ્યા બાદ તેઓ ડેથ સર્ટિફિકેટ અપલોડ કરી શકશે અને પોતાના સંબંધની વિગતો આપી શકશે. ત્યારબાદ UIDAI બાયોમેટ્રિક્સને લોક કરીને આધારકાર્ડ રદ્દ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.
આ પગલાંસરકારના ડિજિટલ ડેટા વ્યવસ્થાપન અને સુરક્ષાને લગતા દૃષ્ટિકોણને દર્શાવે છે, જેનાથી ફ્રોડ, પેન્શન દુરુપયોગ અને અન્ય નાણાકીય દુરુપયોગ જેવી ઘટનાઓ પર અંકુશ મૂકવામાં મદદ મળશે. તદુપરાંત, આ દ્વારા આધાર ડેટાના વિશ્વસનીયતામાં પણ વધારો થશે.