ચૈત્ર માસના પવિત્ર પ્રારંભ સાથે જ આજથી આસ્થાના પ્રતીક સમાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદા નદીના પવિત્ર જળમાં સ્નાન કરીને મા નર્મદાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ભક્તોએ મા નર્મદા અને ભગવાન રણછોડરાયજીના દર્શન કરીને પરિક્રમાનો આરંભ કર્યો હતો.
આ પવિત્ર પરિક્રમા 19 માર્ચ 2026થી શરૂ થઈ 17 એપ્રિલ 2026 સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનારા આ શ્રદ્ધા પર્વ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભક્તો અહીં પહોંચે છે. આ વર્ષે પ્રશાસન દ્વારા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે 15 લાખથી વધુ પરિક્રમાવાસીઓ આ યાત્રામાં જોડાશે, જેને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
આ વખતે પરિક્રમાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડિજિટલ પહેલ હાથ ધરવામાં આવી છે. પરિક્રમા કરવા આવતા દરેક શ્રદ્ધાળુ માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ યાત્રાળુઓને મોબાઈલમાં એક વિશેષ કોડ મળશે, જે ચેકપોસ્ટ અથવા નિર્ધારિત સ્થળોએ દર્શાવવો રહેશે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા હવામાનની માહિતી, માર્ગદર્શિકા અને જરૂરી સૂચનાઓ SMS અથવા ઈ-મેલ દ્વારા સીધી યાત્રાળુઓ સુધી પહોંચાડવામાં આવશે.
પરિક્રમાનો માર્ગ પણ ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તિલકવાડા અને રામપુરા વચ્ચેનો આશરે 21 કિલોમીટરનો માર્ગ એ સ્થળ છે જ્યાં નર્મદા નદી ઉત્તર દિશામાં વહે છે. હિન્દુ શાસ્ત્રોમાં ઉત્તરવાહિની નર્મદાને વિશેષ પવિત્ર માનવામાં આવે છે, તેથી ભક્તો ‘નર્મદે સર્વદે’ના નાદ સાથે ખુલ્લા પગે આ પરિક્રમા પૂર્ણ કરે છે.
ભારે ભીડ અને વધતી ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. યાત્રાળુઓને પૂરતું પીવાનું પાણી સાથે રાખવા, આરોગ્યનું ધ્યાન રાખવા અને સરકાર દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પરિક્રમા માત્ર એક ધાર્મિક યાત્રા નહીં પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો જીવંત ઉત્સવ છે, જે દર વર્ષે લાખો લોકોના જીવનમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel