છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે. મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોર જંગલોમાં બુધવારે (10 સપ્ટેમ્બર) શરૂ કરાયેલા વિશાળ સર્ચ ઓપરેશન દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ કુલ 10 નક્સલીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટરમાં મારાયેલા નક્સલીઓમાં સૌથી મોટું નામ છે કમાન્ડર મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ ઉર્ફે ભાસ્કર, જેના માથા પર ₹1 કરોડનું ઇનામ જાહેર હતું. ભાસ્કર લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓની શોધમાં હતો અને તેને છત્તીસગઢ-ઓડિશા બોર્ડર વિસ્તારમાં નક્સલી સંગઠનના સૌથી શક્તિશાળી અને ખતરનાક નેતાઓમાં ગણવામાં આવતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુપ્તચર સૂત્રોને ખબર મળી હતી કે ભાસ્કર અને તેની ટુકડી ગરિયાબંદના ઘાટીઓ અને જંગલ વિસ્તારમાં છુપાયેલી છે. આ આધારે પોલીસ, CRPF, COBRA અને STFની સંયુક્ત ટીમે મંગળવારથી જ અભિયાન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ સંભવિત સ્થાનોની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેના દરમ્યાન નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો અને ભારે એન્કાઉન્ટર થયું.
ગરિયાબંદના એસપી નિખિલ રાખેચાએ જણાવ્યું કે એન્કાઉન્ટર હજુ ચાલુ છે અને સુરક્ષાદળોએ નક્સલીઓના એક મોટા જૂથને જંગલ વિસ્તારમાં ઘેરી લીધું છે. વચ્ચે વચ્ચે ગોળીબાર થતો રહ્યો છે, જેના કારણે સંભાવના છે કે વધુ નક્સલીઓ મારાયા હોઈ શકે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભાસ્કર નક્સલી સંગઠનનો સિનિયર લીડર હતો અને અત્યાર સુધી અનેક મોટા હુમલાઓનું નેતૃત્વ કરેલું હતું. તે સુરક્ષા દળો પર હુમલાઓ, વિસ્ફોટો, પોલીસકર્મીઓની હત્યાઓ અને સ્થાનિક ગામલોકોને ધમકાવવાના અનેક કિસ્સાઓમાં માસ્ટરમાઇન્ડ રહ્યો હતો.
આ એન્કાઉન્ટર છત્તીસગઢમાં ચાલી રહેલી નક્સલ વિરોધી લડતમાં એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. ભાસ્કર જેવા ટોચના કમાન્ડરને ખતમ કરવાથી માત્ર નક્સલ સંગઠનના કમાન્ડ સ્ટ્રક્ચરને આઘાત પહોંચ્યો નથી, પરંતુ સુરક્ષાદળોના મનોબળમાં પણ ભારે વધારો થયો છે. રાજય સરકાર અને સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે નક્સલવાદ સામેની લડત હવે વધુ કડક પગલાં સાથે આગળ વધશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel