અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ઓગસ્ટ મહિનામાં ચિંતાજનક સ્તરે પહોંચી હતી. ખાસ કરીને મધ્યઝોનના ખાડીયા, જમાલપુર, દરિયાપુર તેમજ પૂર્વના ગોમતીપુર અને દક્ષિણઝોનના બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા હતા. કોર્પોરેશનના સર્વે મુજબ આ વિસ્તારોને હાઈ-રિસ્ક ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કારણ સ્પષ્ટ છે—વર્ષો જૂની પાણીની લાઈનો, સતત લીકેજ અને તેના કારણે પ્રદૂષિત પાણી પીવાના બનાવો.
ઓગસ્ટ મહિનામાં જ પાણીજન્ય રોગના કુલ 1385 કેસ નોંધાયા હતા. તેમાં ઝાડા-ઉલટીના 378 કેસ, કમળાના 508 કેસ, ટાઈફોઈડના 489 કેસ અને કોલેરાના 10 કેસ સામેલ છે. કોલેરાના કેસોમાંથી બે વટવા અને રામોલ-હાથીજણમાં નોંધાયા હતા, જ્યારે સરખેજ, બહેરામપુરા, શાહીબાગ, મકતમપુરા, વસ્ત્રાલ અને ચાંદલોડીયા વોર્ડમાં એક-એક કેસ જોવા મળ્યો હતો. હેલ્થ વિભાગે સર્વે પછી સ્પષ્ટ કર્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટાભાગે ચલણી અને શ્રમિક વસાહતો આવેલી છે, જ્યાં સાંકડી ગલીઓના કારણે નવી પાણીની લાઈન નાખવી મુશ્કેલ બની ગઈ છે. આથી જૂની લાઈનોના લીકેજને કારણે પાણીજન્ય રોગો ફેલાયા છે. પરિસ્થિતિને ગંભીરતા સાથે લઈ કોર્પોરેશનના સેન્ય વિભાગે ઈજનેરી વિભાગને તાત્કાલિક પાણીની લાઈન બદલવાની લેખિત સૂચના આપી છે.
પરંતુ સમસ્યા માત્ર પાણીજન્ય રોગો સુધી સીમિત નથી. ચોમાસાની સિઝનમાં શહેરમાં મચ્છરજન્ય રોગોનો પણ વિસ્ફોટ થયો છે. કરોડો રૂપિયાનો ખર્ચ ફોગિંગ અને પ્રિવેન્શન પર કરવામાં છતાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 385, મેલેરિયાના 190, ઝેરી મેલેરિયાના 50 અને ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા હતા. આ આંકડા દર્શાવે છે કે મ્યુનિસિપલ તંત્રની કામગીરી પુરતી અસરકારક સાબિત થઈ નથી.
પાણીની ગુણવત્તા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નમૂનાઓ પણ ચોંકાવનારા છે. ઓગસ્ટ દરમિયાન 6439 પાણીના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલાયા હતા, જેમાંથી 102 નમૂનાઓ પીવાના લાયક નહતા. તદુપરાંત ક્લોરિન ટેસ્ટ માટે 45,262 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 28 નમૂનાઓનું પરિણામ નિષ્ફળ નીકળ્યું હતું. આ આંકડાઓ સાબિત કરે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાતું પાણી સર્વત્ર પીવાના લાયક નથી અને તે સીધો જન સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel