ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતી એક ગંભીર ઘટના ફરીથી સામે આવી છે. મેલબર્નમાં આવેલા એક સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર નફરતભર્યા અને વંશીય ટિપ્પણીઓ સાથે આપત્તિજનક નારા લખવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ 21 જુલાઈ, સોમવારે થઈ હતી, જ્યારે મંદિરના ભક્તોએ દિવાલ પર નોંધાયેલાં નારાઓ જોઈને તાત્કાલિક વાત સ્થાનિક સંસ્થાઓ સુધી પહોંચાડી. આ ઘટનાની સાથે નજીકની બે રેસ્ટોરન્ટમાં પણ સમાન પ્રકારના ઘૃણાસ્પદ લખાણો કરવામાં આવ્યા હતા, જેને લઈને આખા હિંદુ સમુદાયમાં આક્રોશની લાગણી ફેલાઈ છે.
મંદિરના સંચાલકો અને ભક્તોએ આ પ્રકારની તોડફોડને લઈને ઊંડી નારાજગી વ્યક્ત કરી છે. તેમનો કહેવું છે કે સ્વામિનારાયણ મંદિર શાંતિ, ભક્તિ અને એકતાનું પ્રતીક છે અને આવા નફરતભર્યા કૃત્યોથી માત્ર ઈમારત નહિ, પણ લાખો ભક્તોની લાગણીઓ પર ઘા પહોચે છે. મંદિર પરિસરમાં જાતીય અને ધર્મવિરોધી પ્રવૃત્તિઓને લીધે ભક્તોમાં ભય અને અસંતોષ જોવા મળ્યો છે.
🚨 Shree Swaminarayan Temple in Boronia was desecrated with red‑painted slurs telling our community to “Go home, Brown C**t.”
Read details here: https://t.co/Nq2xLLqdFg
Two nearby Asian‑run restaurants were also targeted—yet it’s the attack on the temple, a place of peace,… pic.twitter.com/1UnhooyYL1
— The Australia Today (@TheAusToday) July 24, 2025
લોકલ હિંદુ સમુદાય અને ધાર્મિક નેતાઓએ તરત જ સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક કર્યો અને આ ઘટનાની ગંભીરતા દર્શાવતા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેલબર્ન પોલીસ વિભાગે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી દીધી છે અને CCTV ફૂટેજ, ચશ્મદીદોના નિવેદન તેમજ અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર હુમલાની અને નફરતભર્યા નારા લખવાની ઘટનાઓ અગાઉ પણ જોવા મળી છે. ઘણી વખત આવી ઘટનાઓમાં ખાલિસ્તાની જૂથોનો એંગલ સામે આવ્યો છે. જો કે તાજેતરની ઘટના પાછળ કોઈ ખાસ સંગઠન છે કે નહિ, તે હજુ તપાસનો વિષય છે. ઓસ્ટ્રેલિયાની સરકાર અને સુરક્ષા એજન્સીઓ માટે આ ઘટનાઓ એક મોટી પડકારરૂપ બની રહી છે, ખાસ કરીને જ્યારે ઓસ્ટ્રેલિયાના અનેક ભાગોમાં ભારતીય સમુદાય ઝડપથી વિસ્તરી રહ્યો છે અને બહોળી રીતે સામાજિક યોગદાન આપી રહ્યો છે.
આ પ્રકારની ઘટનાઓના કારણે માત્ર હિંદુ સમુદાયને નહીં પરંતુ સમગ્ર સંયુક્ત સમાજને નફરત અને વિભાજન તરફ ધકેલવાનો ખતરો રહે છે. તેથી, ઓસ્ટ્રેલિયન અધિકારીઓ માટે આવાં કૃત્યો સામે કડક કાર્યવાહી કરવી અને ધર્મસ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી બની ગયું છે.