મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લામાં થયેલ કમોસમી વરસાદની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન કામગીરી બાબતે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી રજૂ કરવામાં આવી હતી.
મંત્રી સંજયસિંહ મહિડાએ કમોસમી વરસાદને લીધે ખેડા જિલ્લામાં થયેલ ખેતીના પાકને નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સંબંધીત અધિકારીઓને સત્વરે પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ સર્વેની કામગીરી વધુ અસરકારક અને પ્રમાણિત બનાવવા જે તે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કિસાન મોરચાના પ્રમુખોને સંકલનમાં રાખી પાક નુકસાનનો સર્વે કરવા જણાવ્યું હતું.
બેઠક અંતર્ગત ઉપસ્થિત કિસાન મોરચાના પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિઓ દ્વારા પાક નુકશાન વળતર માટે મોબાઈલ હેલ્પલાઇન નંબર, ટેકાના ભાવે ખરીદીના પ્રમાણમાં વધારો, અનાજ પુરવઠા સેન્ટરની સંખ્યામાં વધારો કરવા જેવી બાબતોની રજૂઆત કરી હતી.

કલેક્ટરએ પાક નુકસાની સર્વે બાબતે ઝડપી અને ૧૦૦% સચોટ કામગીરી દ્વારા કોઈપણ નાના-મોટા ખેડૂત સરકારના
લાભથી વંચિત ના રહી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવા તથા કિસાન પ્રતિનિધિઓની રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. બેઠક અંતર્ગત તમામ વિધાનસભાના ધારાસભ્યઓએ પોતાના મતવિસ્તારને લગતી ખેતી વિષયક નુકસાન બાબતે રજૂઆત કરી હતી અને સમયસર ખેડૂતોને સરકારની સહાય મળે તે મુજબ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વે પંકજભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેશ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, અગ્રણી નયનાબેન પટેલ, એપીએમસી ચેરમેન, કિસાન મોરચાના પ્રમુખઓ, પ્રાંત અધિકારીઓ, ખેતીવાડી, આપત્તિ વ્યવસ્થાપન સહિત રેવન્યુ અને પંચાયત વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel