સુપ્રીમ કોર્ટમાં વનતારા પ્રાણી પુનર્વસન કેન્દ્ર મામલે થયેલી તાજેતરની સુનાવણીમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. જામનગરમાં આવેલા આ કેન્દ્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમ કે વિદેશમાંથી અને દેશના અલગ-અલગ ભાગોમાંથી પ્રાણીઓની ગેરકાયદે ખરીદી, તેમને ગેરકાયદે રીતે કેદમાં રાખવું, અત્યાચાર કરવો અને નાણાકીય ગેરરીતિઓ કરવી. આ મુદ્દાને ગંભીરતા આપીને સુપ્રીમ કોર્ટે 25 ઓગસ્ટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી, જેથી દરેક આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થઈ શકે. SITમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જે. ચેલામેશ્વર, ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને વરિષ્ઠ આઈઆરએસ અધિકારી અનિશ ગુપ્તા જેવા અનુભવી સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
એસઆઈટીએ તપાસ દરમિયાન તમામ દસ્તાવેજો, પરવાનગીઓ, પ્રાણીઓના સ્વાસ્થ્ય રિપોર્ટ અને સ્થળની સ્થિતિની ગંભીર સમીક્ષા કરી. અનેક સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા અને આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય ધોરણો મુજબ પ્રાણીઓની સંભાળની પદ્ધતિઓનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું. અંતે રજૂ કરાયેલા રિપોર્ટમાં SITએ સ્પષ્ટ કર્યું કે, વનતારા કેન્દ્રમાં ન તો પ્રાણીઓની ગેરકાયદે હેરાફેરી થઈ છે, ન તો તેમને ગેરકાયદે કેદમાં રાખવામાં આવ્યા છે અને ન તો કોઈ નાણાકીય ગેરરીતિ મળી આવી છે. પ્રાણીઓની સારવાર, ખોરાક, રહેઠાણ અને પુનર્વસનની તમામ વ્યવસ્થાઓ કાયદા અને નિયમો અનુસાર છે અને આ સંસ્થા વન્યજીવનના રક્ષણ અને કલ્યાણ માટે કાર્યરત છે.
આ રિપોર્ટને આધારે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ પ્રસન્ના વરાલેની બેન્ચે વનતારાને ક્લિનચિટ આપી હતી. કોર્ટે જણાવ્યું કે, માત્ર શંકા કે પુરાવા વગરના આક્ષેપોના આધારે કોઈપણ સંસ્થાને કલંકિત કરવું યોગ્ય નથી. આવા આક્ષેપો વાસ્તવિક વન્યજીવન સંરક્ષણના પ્રયત્નોને નુકસાન પહોંચાડે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠા પર પણ અસર કરે છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે, વનતારા “કાયદાનું સંપૂર્ણ પાલન કરતી સંસ્થા” છે, તેથી તેને ખોટી રીતે બદનામ ન કરવી જોઈએ.
સુનાવણી દરમિયાન અરજદારે મંદિરના હાથીઓને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. આ અંગે કોર્ટે પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, “જો કોઈ નિયમોનું પાલન કરીને હાથીઓ રાખવા ઈચ્છે છે, તો તેમાં ખોટું શું છે? તમે પુરાવા વગર આક્ષેપો કેમ કરો છો? આપણા દેશમાં અનેક પરંપરાઓ છે, જેને કારણે ગર્વ થવો જોઈએ, તેને બિનજરૂરી વિવાદોમાં ન ખેંચો.”
આ સમગ્ર પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે એક બાજુ વનતારાની નિર્દોષતા સ્પષ્ટ કરી, તો બીજી બાજુ ખોટા આક્ષેપો કરનારાઓને પણ ચેતવણી આપી. સાથે જ કોર્ટે ખાતરી આપી કે ભવિષ્યમાં પણ વનતારા અને આવા સંસ્થાઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવશે જેથી પ્રાણીઓના હિત સાથે કોઈ સમજૂતી ન થાય. આ ચુકાદા સાથે વનતારાની વિશ્વસનીયતા મજબૂત બની છે અને તે પ્રાણી કલ્યાણ ક્ષેત્રે એક પ્રતિષ્ઠિત મોડેલ તરીકે આગળ વધ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel