ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યાએ રાજસ્થાનમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. નાગૌર જિલ્લામાં પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી ગેરકાયદે વિસ્ફોટક જપ્તીની કાર્યવાહી કરી છે, જેને રાજ્યના સુરક્ષા તંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, તે દરમિયાન નાગૌર જિલ્લાના થાવલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ટીમ (DST) અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. હરસૌર ગામમાં આવેલા એક ફાર્મ હાઉસ પર પાડેલા દરોડા દરમિયાન પોલીસે અંદાજે 10,000 કિલોગ્રામ (લગભગ 9,550 કિલોગ્રામ) ગેરકાયદે એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું, જે નાગૌર પોલીસના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી ગણાય છે.
#WATCH | Nagaur, Rajasthan | SP Mridul Kachhawa says, "For quite some time, the Nagaur police had been receiving intelligence reports indicating that large quantities of explosive materials were being bought, sold, and stored in the district… Yesterday, the district police… pic.twitter.com/hzpG9Vpzil
— ANI (@ANI) January 25, 2026
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સુલેમાન ખાને પોતાના ફાર્મ હાઉસમાં બનેલા મકાનમાં આ વિસ્ફોટકો અત્યંત ગુપ્ત રીતે છુપાવી રાખ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને કુલ 187 કટ્ટા (કોથળા)માં ભરેલું એમોનિયમ નાઈટ્રેટ મળ્યું. આ ઉપરાંત વિસ્ફોટ કરવા માટે વપરાતા અન્ય ખતરનાક સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 9 કાર્ટન ડેટોનેટર, 12 કાર્ટન અને 15 બંડલ વાદળી ફ્યુઝ વાયર તેમજ 12 કાર્ટન અને 5 બંડલ લાલ ફ્યુઝ વાયરનો સમાવેશ થાય છે. આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને તેની સહાયક સામગ્રી મળવાથી સુરક્ષા એજન્સીઓ વધુ ચિંતિત બની ગઈ છે.
ધરપકડ કરાયેલ આરોપી સુલેમાન ખાન હરસૌર ગામનો રહેવાસી છે. નાગૌર એસપી મૃદુલ કચ્છવાએ જણાવ્યું કે સુલેમાન સામે અગાઉ પણ ગેરકાયદે વિસ્ફોટકો રાખવાના ત્રણ ગુના નોંધાયેલા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું છે કે તે ખાણકામ (માઈનિંગ) સાથે સંકળાયેલા લોકોને આ વિસ્ફોટકો સપ્લાય કરતો હતો, પરંતુ ગણતંત્ર દિવસ પહેલાં આટલો મોટો જથ્થો મળવો પોતે જ ગંભીર શંકા ઉભી કરે છે. એમોનિયમ નાઈટ્રેટ અત્યંત ઘાતક વિસ્ફોટક છે અને ભૂતકાળમાં અનેક આતંકી હુમલાઓમાં તેનો ઉપયોગ થઈ ચૂક્યો છે.
નવેમ્બર 2025માં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ધમાકામાં પણ આવા જ વિસ્ફોટકો વપરાયા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજસ્થાન પોલીસે કેન્દ્રીય તપાસ એજન્સીઓને માહિતી આપી છે, જે હવે તપાસ કરશે કે આ વિસ્ફોટક જથ્થાનો ઉપયોગ કોઈ મોટી આતંકી સાજિશ માટે થવાનો હતો કે કેમ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel