ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપવા એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રામપંચાયત સૌથી પાયો માનવામાં આવે છે અને હવે દરેક ગ્રામપંચાયત પાસે પોતાનું સ્વતંત્ર પંચાયત ઘર અને તલાટી કમ મંત્રી માટે આવાસ હોવો અનિવાર્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે એકસાથે 2055 નવીન ગ્રામપંચાયતોને પોતાનું પંચાયત ઘર બાંધકામ કરવા માટે 490 કરોડ રૂપિયાનું વિશાળ અનુદાન મંજૂર કર્યું છે. આ રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત છે કે એટલી મોટી સંખ્યામાં ગ્રામપંચાયતોને એકસાથે અનુદાન આપવામાં આવ્યું છે.
આ યોજનાના અંતર્ગત વસતિના આધારે અનુદાનની રકમ નક્કી કરવામાં આવી છે. 10 હજારથી વધુ વસતિ ધરાવતી દરેક ગ્રામપંચાયતને 40 લાખ રૂપિયા, 5થી 10 હજાર વસતિ ધરાવતી ગ્રામપંચાયતને 34.83 લાખ રૂપિયા અને 5 હજારથી ઓછી વસતિ ધરાવતી ગ્રામપંચાયતને 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આ રકમનો ઉપયોગ પંચાયત ઘર તેમજ તલાટી કમ મંત્રી આવાસના બાંધકામ માટે થશે.
મુખ્યમંત્રીના આ પગલાનો હેતુ એ છે કે રાજ્યની તમામ ગ્રામપંચાયતોમાં 100 ટકા સેચ્યુરેશન હાંસલ કરી શકાય, એટલે કે દરેક ગામ પાસે પોતાની વ્યવસ્થિત પંચાયત કચેરી અને તલાટી કમ મંત્રી માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ રહે. આથી ગ્રામ્ય સ્તરે સુશાસનને મજબૂત બનશે, વહીવટી કામગીરીમાં પારદર્શિતા આવશે અને સ્થાનિક નાગરિકોને પંચાયતની સેવાઓ સરળતાથી મળી રહેશે.
આ નિર્ણયને કારણે ગામના લોકો માટે સ્થાનિક સ્તરે વિકાસ યોજનાઓનું આયોજન અને અમલીકરણ વધુ સુગમ બનશે. સાથે જ તલાટી કમ મંત્રીઓને પણ યોગ્ય સગવડો મળતાં તેઓ વધુ અસરકારક રીતે જનસેવા આપી શકશે. રાજ્ય સરકારના આ પ્રયત્નને “પ્રો-પીપલ એપ્રોચ” તરીકે જોવામાં આવી રહ્યો છે, જેનો સીધો લાભ ગ્રામ્ય જનતાને થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel