ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા. 01-01-2026 ની લાયકાત તારીખને આધારે ગુજરાત રાજ્યમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. 19-12-2025 થી તા. 18-01-2026 સુધી રાખવામાં આવ્યો છે. આ અનુસંધાને બોટાદ જિલ્લામાં તા. 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 10:00 કલાકથી સાંજના 05:00 કલાક સુધી જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મતદારો મુસદ્દા મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકશે.
જેમનાં નામ મતદારયાદીમાં સામેલ નથી તેવા પાત્ર મતદારો પોતાનું તેમજ પિતા, માતા, દાદા અથવા દાદીના ઓળખ પુરાવા રજૂ કરીને નોંધણી કરાવી શકશે. ઉપરાંત, નવા મતદારો માટે મતદારયાદીમાં નામ નોંધણી, નામમાં સુધારા-વધારા તેમજ મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટે જરૂરી ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ખાસ કરીને તા. 01-01-2026ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર પાત્ર નાગરિકોને મતદારયાદીમાં સમાવિષ્ટ કરવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ક્ષતિરહિત અને અદ્યતન મતદારયાદી તૈયાર કરવાના હેતુથી યોજાયેલી આ ઝુંબેશ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર બોટાદ ડૉ. જિન્સી રોય દ્વારા જિલ્લાના તમામ મતદારોને જાહેર અપીલ કરવામાં આવી છે કે તેઓ તા. 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 10:00 થી સાંજના 05:00 કલાક દરમિયાન પોતાના નજીકના મતદાન મથકે જઈ પોતાનું નામ ચકાસે, જરૂરી મેપિંગ કરાવે અને પાત્ર નાગરિકોની નોંધણી કરાવી, જેથી દરેક નાગરિક પોતાના મતાધિકારનો અસરકારક ઉપયોગ કરી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel