સાળંગપુર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં હનુમાન જયંતીના પાવન અવસરે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ યાત્રાધામમાં વહેલી સવારથી જ ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ કષ્ટભંજન દેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
હનુમાન જયંતિના વિશેષ પ્રસંગે સવારે 5:00 વાગ્યે મંગળા આરતી અને 7:00 વાગ્યે શણગાર આરતી સાથે ઉત્સવની શરૂઆત થઈ હતી. આ દિવસે દાદાને વિશેષરૂપે 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરાયેલા અત્યંત કલાત્મક ‘નૂતન સુવર્ણ વાઘા’ અર્પણ કરવામાં આવ્યા હતા. સોનાના આભૂષણો અને ભવ્ય વસ્ત્રોમાં સજ્જ ભગવાન હનુમાનના દર્શન ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા.
આ વર્ષની ઉજવણીમાં આધુનિકતા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. દાદાના જન્મોત્સવને વધાવવા માટે આકાશમાંથી 1 લાખથી વધુ બલૂન છોડવામાં આવ્યા હતા, જ્યારે 151 કિલોની વિશાળ કેક કાપીને ભક્તોમાં પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ડી.જે.ના તાલે અને હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
દિવસભરના કાર્યક્રમોમાં ‘વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ’નું વિશેષ મહત્વ રહ્યું, જેમાં સવારે 7:00 વાગ્યાથી 1000થી વધુ ભક્તોની હાજરીમાં સામૂહિક વૈદિક યજ્ઞ શરૂ થયો હતો. સવારે 11:00 વાગ્યે અન્નકૂટ દર્શન યોજાશે, જેમાં દાદાને વિવિધ પ્રકારની વાનગીઓ અર્પણ કરવામાં આવશે. સાંજે 7:00 વાગ્યે મહા સંધ્યા આરતી નાસિકના ઢોલ-તાસા અને ભવ્ય આતશબાજી સાથે યોજાશે, જે ઉત્સવને વધુ ભવ્ય બનાવશે.
ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભોજનશાળા, ગેસ્ટ હાઉસ (લાઈટ હાઉસ અને કષ્ટભંજન ભવન) તેમજ પાર્કિંગની સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે સ્વયંસેવકો અને પોલીસ તંત્ર ખડેપગે તૈનાત છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel